મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં તથા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીની ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાની તમાકુ નિષેધ બાબતે કામગીરી અંગેની બેઠક યોજાઇ હતી.
તમાકુ નિષેધ કામગીરી સંદર્ભે સ્કૂલની આજુબાજુની ૧૦૦ મીટર ત્રિજ્યામાં તમાકુની દુકાન હોય તે માટે તપાસ કરવામાં આવે છે. જે અન્વયે તમાકુ મુક્ત ઇન્સ્ટિટ્યૂટ હેઠળ ૨૧૪ શાળાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. શાળાની આજુબાજુના વિસ્તારમાં તમાકુનું વેચાણ બિલકુલ ચલાવી ન જ લેવાય તે બાબતે ખાસ સુચના કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવી હતી.
જિલ્લામાં કેન્સર તપાસ અને નિદાનની ઝુંબેશ હેઠળ ચાલી રહેલી કામગીરી અન્વયે નિદાન કેમ્પમાં પોઝિટિવ આવેલ દર્દીઓની સારવાર અને તેમની સ્થિતિનું સતત ફોલોઅપ લેવા તેમજ તાલુકાઓમાં તમાકુ મુક્તિ તેમજ કેન્સર જાગૃતિ અંગેના સેમિનારનું આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાત્સવ, આર.સી.એચ.ઓ. ડો. સંજય શાહ, ડીએમઓ વિપુલ કારોલીયા, ઈએમઓ ડો. ડી.વી. બાવરવા તથા તાલુકા આરોગ્ય અધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા