બંને બાળકોના વોકળામાં ન્હાવા પડતા ડૂબી જવાથી મોત થયાનું પ્રાથમિક તારણ
હળવદ : હળવદ તાલુકાના કડીયાણા ગામેં આજે કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ગામના વોકળામાં ડૂબી જવાથી બે બાળકોના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટનામાં હાલ આ બન્ને બાળકોના વોકળામાં ન્હાવા પડ્યા ડૂબી જવાથી મોત થયા હોવાનું પ્રાથમિક અનુમાન છે. તેથી આ વોંકળાના ખાડામાં ભરાયેલા પાણીમાં નાહવા જતા ડૂબી જતા મોત થતા બન્ને હતભાગી બાળકોના પરિવારોમાં અરેરાટી મચી ગઇ છે.
આઘાતજનક ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા આદિત્યભાઈ મુન્નાભાઈ ભરવાડ ઉંમર વર્ષ 13 અને પ્રિન્સ ભાઈ મુકેશભાઈ ભરવાડ ઉંમર વર્ષ 12 બંને બાળકો તેના દાદા સાથે ગામના પાદરમાં આવેલ તેમના ખેતરે ગયા હતા. બંને બાળકોના દાદા ખેતરે વાળ કરી રહ્યા હતા ત્યારે ખેતરની બાજુમાંથી જ પસાર થતા વોંકળાના ખાડામાં પાણી ભરાયેલ હોય જેથી આદિત્ય અને પ્રિન્સ બંને નાહવા પડ્યા હતા જોકે તેનો મિત્ર કાંઠે બેઠો હતો.
બંને બાળકો ખાડામાં ડૂબી રહ્યા હોવાની જાણ તેના મિત્રને થતા તે તાત્કાલિક ગામમાં દોડી આવ્યો હતો અને ગામ લોકોને જાણ કરતા પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક બંને બાળકોને પાણીના ખાડામાંથી બહાર કાઢી ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જોકે ત્યાં ફરજ પરના તબીબોએ બંને બાળકોને મૃત જાહેર કરતા પરિવારમાં પણ કાળો કલ્પાંત છવાયો છે.
આ કરુણ ઘટનાના પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી વકરી બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે.
