મોરબી : દેશમાં કટોકટી લગાવ્યાને 50 વર્ષ પૂર્ણ થતા મોરબી જિલ્લામાં સંવિધાન હત્યા દિવસ અન્વયે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને મોરબીની વી.સી. ટેકનિકલ હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહિવટી તંત્ર અને મોરબી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, 25 જૂન, 1975નો દિવસ ઇતિહાસમાં કોઈ દિવસ ભૂલી ન શકાય એવો દિવસ છે. જ્યાં દેશમાં પત્રકારત્વને બંધક બનાવવામાં આવ્યું અને સંવિધાનનું સંપૂર્ણ હનન કરી દેવામાં આવ્યું હતું. તત્કાલીન વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવવા લોકશાહીને દબાવવા જે કાવતરા કર્યા તે ખરેખર નિંદનીય છે.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસે કર્યું હતું. આ કાર્યક્રમમાં વકીલ મહાનુભાવ વિજયભાઈ જાની અને અગ્રણી ડો. જયંતીભાઈ ભાડેસિયાએ પ્રાસંગિક વ્યાખાનમાં જણાવ્યું હતું કે, ઇતિહાસમાં જેને ભારતીય લોકતંત્રના કાળા અધ્યાય તરીકે ઓળખવામાં આવે છે એવો દિવસ એટલે 25 જૂન, 1975નો દિવસએ કટોકટીને 50 પૂર્ણ થતા સમગ્ર દેશ અને રાજ્યમાં સંવિધાન હત્યા દિવસ તરીકે એ દિવસોના સંસ્મરણ માટે અને યુવા પેઢીને જાગૃત કરવા માટે મોરબીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો છે.
આ પ્રસંગે મહાનુભાવોએ લીલી ઝંડી આપી સંવિધાન હત્યા દિવસ અન્વયે રેલીને પ્રસ્થાન કરાવી હતી. ઉપરાંત સંવિધાન હત્યા દિવસ અન્વયે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ નિહાળી હતી. જિલ્લામાં સંવિધાન હત્યા દિવસ અનુસંધાને આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે સર્વે ઉપસ્થિતોએ આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ઉપરાંત સંવિધાન હત્યા દિવસ અન્વયે તૈયાર કરવામાં આવેલી ફિલ્મ પણ નિહાળી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા કલેક્ટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, સહિત મહાનુભાવો, વિવિધ કાયદા નિષ્ણાંતો અને વકીલો અને મોરબીના નગરજનો તથા લો કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




