મોરબીના વીસીપરા વિસ્તારમાં ગત રાત્રીના સમયે બબાલ થયા બાદ આ માથાકૂટમાં 7 જેટલા લોકોને ઇજા પોહચી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જીગ્નેશ ગોવિંદભાઇ રાવા ઉ.વ. 33 નામનો યુવાન મોડીરાત્રે 12.30ના અરસામાં ઘર પાસે ઝાડવાને પાણી પીવડાવતો હતો ત્યારે વીસીપરાનો દાઉદ ઉર્ફે દાવલો દારૂ પી ત્યાં ધસી આવ્યો હતો અને જીગ્નેશને કહ્યું હતું કે, તારી સાથે કુસ્તી કરવી છે. જેથી જીગ્નેશે આ બાબતે પોતાના પરિવારને કહ્યું હતું. બાદમાં આરોપી દાઉદ, લતિક અને રાયધન સહિતના દસેક શખ્સ ત્યાં લાકડાના ધોકા, પાઇપ, છરી સહિતના ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો.
આ હુમલામાં જીગ્નેશ ગોવિંદભાઇ રાવા, તેના પિતા ગોવિંદભાઇ ખીમજીભાઈ રાવા, માતા કુંવરબેન, ભાઈ મહેશ, વિજય અને બાબુને પણ ઇજાઓ પહોંચતા તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. સામાપક્ષે રાયધન દાઉદ જામ નામનો શખ્સ પણ રાજકોટ સિવિલમાં દાખલ થયો હતો અને અજાણ્યા હુમલાખોરોએ ઇજા કરી હોવાનું જાહેર કર્યું હતું. જો કે, બાદમાં આ રાયધન જામ તબીબી અભિપ્રાય લીધા વગર જ સિવિલમાંથી ચાલ્યો ગયો હોવાનું સામે આવ્યુ છે. બનાવ અંગે હજુ સુધી મોરબી સીટી બી ડિવિઝનમાં કોઈ નોંધ કરવામાં આવી નથી.