ગેરકાયદે બાંધકામો થયા બાદ સામાન્ય લોકો તેને ખરીદે છે અને પાછળથી હેરાન થાય છે, જેથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
મોરબી : મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં બિલ્ડરો દ્વારા ચાલતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવામાં આવે જેથી સામાન્ય લોકો આવા ઘર ખરીદીને હેરાન ન થાય તે માટે કાર્યવાહી કરવા શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયુ છે કે મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં બિલ્ડરો દ્વારા કોઈ પણ પ્રકારની મંજુરી લીધા વગર બાંધકામો ચાલુ છે. આવા બાંધકામ કરવા માટે બિલ્ડરોએ કોઈ અધિકૃત અધિકારીઓની મંજુરી લીધેલ નથી. તેમ છતાં પણ આવા બિલ્ડરો ચાલુ બાંધકામે ગરીબ-મધ્યમ વર્ગના લોકો, નાના-મોટા વેપારીઓ, ગામડાના ખેડુતોને વિશ્વાસમાં લઈ વેચાણ કરે છે. આવા ગરીબ-મધ્યમ વર્ગના લોકોએ વર્ષોથી ખેતમજુરી કે નાના-મોટા વેપાર ધંધા કરી પોતાની મહેનતથી મરણ મુળી એકઠી કરેલ હોય છે. જે મરણે મુળી પોતાના સ્વપ્નનું ઘર ખરીદવામાં ખર્ચ કરે છે અને તેમને જાણ પણ હોતી નથી કે આ જે સ્વપ્નનું ઘર ખરીદવામાં આવેલ છે તે ઘરની કોઈ પણ પ્રકારની મંજુરી લીધેલ નથી. માત્રને માત્ર બિલ્ડરો કોઈ પણ પ્રકારની મંજુરી લીધા વગર ગેરકાયદેસર બાંધકામો કરી નફો કમાવવા માટે ઈરાદાપૂર્વક લોકોને આવા મકાનો સોપી આપે છે.
મોરબી મહાનગરપાલીકા વિસ્તારમાં બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર રીતે કરવામાં આવતા બાંધકામ દુર કરવા માટે આપના તરફથી નોટીસ આપવામાં આવેલ છે કે કેમ…? જો નોટીસ આપવામાં આવેલ હોય તો આપની કચેરી તરફથી શું પગલા લેવામાં આવેલ છે…? કે પછી માત્રને માત્ર કોણીએ ગોળ જ લગાડવામાં આવેલ છે. આપ તરફથી જો બિલ્ડરો દ્વારા થયેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરાવવામાં આવતા ન હોય તો પછી ગરીબ-મધ્યમ વર્ગના લોકોને બિલ્ડરો દ્વારા જાણી જોઈને મંજુરી વગર સોપવામાં આવેલ બાંધકામો દુર કરવા નોટીસ શા માટે.? આ રજુઆતને ધ્યાને લઈ બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ બાંધકામો અટકાવવા તેમજ તળાવો કે પાણીના નિકાલ ઉપર બિલ્ડરો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામો દુર કરવામાં આવે તેવી માંગ છે.
