મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ રહ્યા ઉપસ્થિત
વાંકાનેર : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેર દ્વારા તાલુકા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકની શરૂઆત સૌ પ્રથમ ભારતીય સંસ્કૃતિ મુજબ સરસ્વતી વંદના કરીને કરવામાં આવી હતી. આ કારોબારી બેઠકમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ, સિનિયર ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા દરેક કાર્યકર્તાનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
બેઠકમાં સંગઠનનો વ્યાપ વધારવા માટે અને સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ તેનું સચોટ માહિતી મોરબી જિલ્લાના સિનિયર ઉપાધ્યક્ષ સંદીપભાઈ આદ્રોજાએ આપી, ત્યાર બાદ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા આવનારા સમયમાં શિક્ષકોના પડતર પ્રશ્નોને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વાચા આપવામાં આવશે, જૂની પેશન યોજના 2005 પછી લાગુ પાડવા માટે યોજના બનાવાશે, અને વાંકાનેર તાલુકાની કારોબારીમાં નવા સભ્યો કોટડીયા દીપકભાઈ, પાટડીયા જીવરાજભાઈ, વાનાણી જેઠાભાઈની નિમણૂક કરવામાં આવી હતી અને તેમની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ કારોબારી બેઠકમાં સદસ્યતા અભિયાન માટે આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના તમામ શિક્ષકો સુધી પહોંચી પંદર દિવસમાં સદસ્યતા અભિયાન પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી હતી. ત્યારબાદ તાલુકાના કારોબારી સભ્યો દ્વારા પ્રતિભાવ આપવા આવ્યા તથા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી. વાંકાનેર શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તા અને શિક્ષક સુરેશભાઈ પરમારની જિલ્લાફેર બદલી થતા એમને પુસ્તક અર્પણ કરી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું અને એમની શિક્ષક તરીકેની, મહાસંઘના કાર્યકર્તા તરીકેની સેવાઓને બિરદાવી હતી. અંતે કારોબારી બેઠકમાં કલ્યાણ મંત્ર નિરવભાઈ બાવરવા પ્રચારમંત્રી મોરબી જિલ્લા દ્વારા કરવામાં આવ્યો હતો અને બેઠકને પૂર્ણ કરવામાં આવી હતી.

