રૈન બસેરા ખાતે બાલ વાટીકાના શુભારંભ થતા મોરબી જલારામ ધામના અગ્રણીઓ દ્વારા શૈક્ષણિક કીટ અર્પણ, રૈન બસેરાના સંચાલકો દ્વારા જલારામ ધામના અગ્રણીઓના હસ્તે કેક કટીંગ કરાઈ
મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ દ્વારા દરરોજ બપોરે તથા સાંજે લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે છેલ્લા ૬ મહિના થી મોરબી મહાનગરપાલિકા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે રહેતા નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન ની વ્યવસ્થા શ્રી જલારામ ધામ-મોરબી તરફથી અવિરતપણે કરવામાં આવી રહી છે.
પંડિત દિનદયાળ અંત્યોદય આજીવિકા મિશન અંતર્ગત મોરબી રૈનબસેરા ખાતે નિરાધાર તેમજ નિરાશ્રિત બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તે હેતુસર બાલ વાટીકાની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઘરવિહોણા લોકોના બાળકોને શિક્ષણ પ્રદાન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા UCD શાખા ના અધિકારી ચિરાગભાઈ વાઢેર, આશ્રયગૃહના મેનેજર પરેશભાઈ ત્રિવેદી તથા કેર ટેકર સ્મિતાબેન ગોસ્વામી દ્વારા ઘરવિહોણા લોકોના ઉત્થાન માટે અવિરત સેવા પ્રદાન કરવામાં આવી રહી છે. આશ્રયગૃહના સંચાલકો દ્વારા મોરબી જલારામ ધામની સેવાને બિરદાવવા સંસ્થા ના અગ્રણીઓને આશ્રયગૃહની મુલાકાત માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જે અનુસંધાને મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, ભાવીનભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, પારસભાઈ ચગ સહીતનાં અગ્રણીઓએ આશ્રયગૃહની મુલાકાત લીધી હતી તેમજ નિરાશ્રિત બાળકોને શૈક્ષણીક કીટ અર્પણ કરી હતી. સંસ્થા દ્વારા જલારામ ધામના અગ્રણીઓના વરદ્ હસ્તે કેક કટીંગ કરાવી તેમની સેવાને બિરદાવી હતી. તે ઉપરાંત મોરબી જલારામ ધામના અગ્રણીઓએ મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે બંને ટાઈમ ભોજન પહોંચાડવાની વ્યવસ્થા અવિરતપણે ચાલુ રાખવામાં આવશે તેવુ જણાવ્યુ હતું.




