મોરબી : આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ, લક્ષ્મીનગર, મોરબી દ્વારા આજ તારીખ : ૧૫- ૦૭- ૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સાયબર ક્રાઈમ જાગૃતિ અંતર્ગત અંગે સેમિનાર યોજાયો હતો.
ડિજિટલ યુગમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ સાયબર ક્રાઈમ અને ફ્રોડ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના સંચાલક પ્રસાદભાઈ ગોરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં પોલીસ વિભાગના સાયબર સેલ અધિકારીઓ અમિતભાઈ સી. બાખરીયા, મનોજભાઈ ટી. લકમ, આકૃતીબેન સી. પીઠવા દ્વારા વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ — જેમ કે OTP ફ્રોડ, ફિશિંગ, UPI ઠગાઈ, લોટરી સ્કેમ, નકલી લોન/જોબ ઓફર, સોશ્યલ મીડિયા છેતરપિંડી વગેરે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓ અને શિક્ષકગણોને ઓનલાઇન વ્યવહાર દરમ્યાન સુરક્ષિત રહેવા માટેની વિવિધ રીતો સમજાવવામાં આવી. ઉપરાંત, નીચેના મહત્વના સૂચનો આપવામાં આવ્યા. જેમાં ક્યારેય અજાણ્યા વ્યક્તિઓ સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરો, OTP અથવા બેન્ક વિગતો ક્યારેય પણ ફોન અથવા મેસેજ દ્વારા ન આપો, સત્તાવાર વેબસાઈટ અને એપ્લિકેશન જ ઉપયોગ કરો, સાયબર ગુનાની ઘટનાઓ માટે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર ફોન કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો, mass media એપ્લીકેશનમાં ટુ સ્ટેપ વેરિફિકેશન રાખવું.
આ ઉપરાંત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને થયેલા અનુભવો પણ રજુ કરવામાં આવ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ વધુ જાગૃત બને.આ કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્ર યોજાયું. જેમાં હાજર વિદ્યાર્થીઓ અધિકારીઓને સાયબર સુરક્ષા અંગેના વિવિધ પ્રશ્નો પુછ્યા અને તેમનો યોગ્ય જવાબ મળ્યો. અંતે, આયોજકો તરફથી આવનારા સમયમાં વધુ જાગૃતિમૂલક કાર્યક્રમો યોજવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.

