માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તરફથી સોપાયેલા 10માંથી 6 રોડ અંગે કોઈ વાંધા અરજી ન મળતા ત્યાંના દબાણો હટાવવામાં આવશે
મોરબી : મોરબી મહાપાલિકાને માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) તરફથી 10 રોડ સોપાયા હતા. તેમાંથી 6 રોડમાં કોઈ વાંધા અરજી ન મળતા હવે તેની રાઈટ ઓફ વેની જગ્યાને ખુલ્લી કરવામાં આવશે. આ માટે આગામી દિવસોમાં મહાપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવાનું એલાન આપવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતા રોડ માર્ગ તથા મકાન વિભાગ (સ્ટેટ) પાસેથી મહાનગરપાલિકા દ્વારા હસ્તગત કરવામાં આવતા કુલ ૧૦ પ્રવર્તમાન રાઈટ ઓફ વે (ROW) મુજબ મહાનગરપાલિકાના હદ વિસ્તારવાળી જગ્યા ખુલ્લી કરવાની થાય છે. આ રસ્તાઓને પહોળા કરવાથી ભવિષ્યમાં તથા પ્રવર્તમાન ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા અર્થે તા. ૦૮/૦૪/૨૦૨૫ થી ધી ગુજરાત પ્રોવીન્શીયલ મ્યુનૌશીપલ કોર્પોરેશન કોપ એક્ટ – ૧૯૪૯ ની કલમ ૨૧૦ હેઠળ લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કરવામાં આવેલ હતા.
આ રોડને ખુલ્લા કરવા માટે જાહેર જનતાના વાંધા સૂચનો મંગાવવામાં આવેલ હતા. સંબંધિત અસરકર્તા વ્યક્તિઓને જાહેર પ્રસિધ્ધ થયા બાદ તારીખ ૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં લેખિત વાંધા સૂચનો મોરબી મહાનગરપાલિકાની કચેરીએ રજુ કરવાના હતા. સદરહુ રસ્તાઓની માહિતી ટીપી શાખામાં કચેરીના સમય દરમિયાન જાહેર જનતા માટે ઉપલબ્ધ હતી અને સમજણ આપવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ અંગે કુલ ૨ દૈનિક પેપરમાં વિનામૂલ્યે પ્રેસનોટ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરતા, કુલ ૪ રોડ માટે વાંધા અરજીઓ આવેલ હતી.
આ સિવાયના બાકીના ૬ રોડ કે જેમાં કોઈ વાંધા અરજીઓ આવેલ નથી જેમાં નીચે મુજબના રોડનો સમાવેશ થાય છે
● મોરબી નવલખી રોડ (સ્ટેટ હાઇવે) – ૧૨.૦ મી. (૬૪/૦ થી ૬૪/૯૦૦), ૨૨.૫ મી (૬૪/૯૦૦ થી ૬૯/૭૦૦)
● રાજકોટ મોરબી રોડ (સ્ટેટ હાઇવે) – ૩૦.૦ મી. (૫૫/૫૦૦ થી ૬૭/૦)
● મોરબી પંચાસર નાગલપર મોટી વાવડી રોડ (મુખ્ય જીલ્લા માર્ગ) – ૧૮.૦ મી. (૧/૮૫૦ થી ૬/૫૫૦)
● રોડ જોઈનીંગ નેશનલ હાઇવે ૮A થી રાજકોટ-મોરબી રોડ (અન્ય જીલ્લા માર્ગ) – ૧૨.૦ મી. (૦/૦ થી ૭/૦૦)
● મોરબી હળવદ રોડ (સ્ટેટ હાઇવે) – ૩૦.૦ મી. (૦/૦ થી ૧/૮૦૦)
● મોરબી જેતપર રોડ (સ્ટેટ હાઇવે) – ૨૪.૦ મી. (૦/૦ થી ૧/૪૦૦), ૨૦.૦ મી. (૧/૪૦૦ થી ૩/૦)
આ ૬ રોડ માટે LOP નો ઠરાવ થઈ ગયેલ હોય અને કોઈ વાંધા અરજીઓ પ્રાપ્ત ન થયેલ હોય, આથી આ માર્ગોને અગામી સમયમાં રાઈટ ઓફ વે (ROW) મુજબ ખુલ્લા કરવાના થાય છે. આથી, મોરબી મહાનગરપાલિકાની ટાઉન પ્લાન્નીંગ શાખા તથા એસ્ટેટ શાખા દ્વારા ઉપરોક્ત ૬ રોડની જગ્યાઓને તાત્કાલિક અસરથી ખુલ્લી કરાવવા માટે આગામી સમયમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.