મોરબી : મોરબી તાલુકાના રાજપર ગામે ગત મોડી રાતે યુવાનની હત્યા થઈ છે. આ ઘટનાની જાણ થતા જ વેહલી સવારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, જે યુવાનની હત્યા થઈ છે તે પાછળ ઘર કંકાસ કારણભૂત હોવાનું અને નજીકના પરિવારજનો જ બોથડ પદાર્થના ઘા ઝીકી દેતા મોત થયાનું સુત્રો જણાવી રહ્યા છે.
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા નામના યુવાનની ગત મોડી રાતે પાઇપ ધોકા વડે બેફામ મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘરમાં જ બનેલા આ બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસ સવારે બનાવ સ્થળે પહોંચતા લોકોના ટોળેટોળા એકત્રિત થયા હતા. નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ ઘર કંકાસમાં યુવાનની નજીકના ઘરના સભ્યોએ હત્યા કરી હોવાનું જાણવા મળે છે. યુવકની હત્યાના બનાવને લઈ નાના એવા ગામમાં ભારે ચર્ચા જગાવી છે. હાલ મોરબી તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

