ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલા ખોડીયાર આશ્રમમાં થયેલી લૂંટની ઘટનામાં ટંકારા પોલીસે ઝડપી કાર્યવાહીને અંજામ આપતા મુકદમાં ગયેલ મુદામાલનો મોટો હિસ્સો પુનઃ મેળવી ફરીયાદીને પરત કર્યો છે. પોલીસ વિભાગના પ્રજા કલ્યાણ અને પ્રજા ઉપયોગી કામગીરીના માર્ગદર્શનમાં “તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” અંતર્ગત આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલના માર્ગદર્શન તેમજ વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.એચ. સારડા અને પોલીસ ઇન્સ્પેકટર કે.એમ. છાસીયાના સુપરવિઝન હેઠળ કેસમાં ત્વરિત તપાસ કરવામાં આવી હતી.
ગત તારીખ 30/07/2025ની મોડી રાત્રે આશરે 1.30 થી 2.00 વાગ્યાના સમયમાં અજાણ્યા ચાર લૂંટારૂઓએ મિતાણા ગામના ખોડીયાર મંદીર આશ્રમમાં ઘુસી મહંતશ્રી રામચરણદાસજી નારણદાસજીને છરી બતાવી ધમકાવ્યા હતા. લૂંટારૂઓએ સોનાની કડી (મુંદરી), ગેંડાનું કડું, મોબાઇલ ફોન તથા રોકડ મળી કુલ રૂ. 87,000/-નો મુદામાલ લૂંટી ફરાર થયા હતા. આ અંગે 13/08/2025ના રોજ રાત્રે 9 વાગ્યે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે સતર્કતા અને ખંતપૂર્વકની તપાસ બાદ આરોપીઓને ઝડપી પાડતા તેમના પાસેથી કુલ રૂ. 55,200 નો મુદામાલ જેમાં અગાઉ મેળવેલ રૂ. 20,000 રોકડ, રૂ. 35,000 ની સોનાની મુંદરી અને રૂ. 200નું ચાંદીનું ગેંડાનું કડું કબજે કર્યા હતા. આ મુદામાલ પોલીસ દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપી એસ.એચ. સારડાના હસ્તે ફરિયાદી મહંત રામચરણદાસજીને વિધિવત્ સોપવામાં આવ્યો હતો. ટંકારા પોલીસની આ કાર્યવાહી સ્થાનિક સ્તરે પ્રશંસનીય બની છે અને પ્રજા સુરક્ષા તથા વિશ્વાસ વધારતી સાબિત થઈ છે.











