મોરબી: આગામી દિવસોમાં શરૂ થતી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાને લઈને મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. મોરબી જિલ્લામાં કુલ 22,870 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે કલેકટર કે. બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
આ બેઠક પૂર્વે રાજ્યના શિક્ષણમંત્રી (કેબિનેટ) પ્રદ્યુમ્ન વાજા અને રાજ્યમંત્રી રિવાબા જાડેજા દ્વારા વીડિયો કોન્ફરન્સ યોજી મોરબી સહિતના જિલ્લાઓનો રિવ્યૂ લેવાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સુચારું સંચાલન કરવા તંત્રને તાકીદ કરવામાં આવી હતી.
મોરબીમાં હાલ પાડા પુલનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી કલેકટર કે. બી. ઝવેરીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા માટે ઘરેથી થોડા વહેલા નીકળવા ખાસ અપીલ કરી છે. આ ઉપરાંત બસમાં આવતા વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલે પણ ખાતરી આપી છે કે જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં અટવાય તો તુરંત ટ્રાફિક પોલીસનો સંપર્ક કરે, પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને પૂરતો સહયોગ આપવામાં આવશે.
આર. એ. સી. ખાચરે માળિયા પંથકના વિદ્યાર્થીઓની સુવિધા માટે એસ.ટી. તંત્રને ખાસ બસ વ્યવસ્થા ગોઠવવા અને પીજીવીસીએલ (વીજતંત્ર) ને પરીક્ષા દરમિયાન અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા કડક સૂચનાઓ આપી હતી. સમગ્ર મિટિંગ અને આયોજનની વ્યવસ્થા ધર્મિષ્ઠાબેન કડીવાર અને હિતેશ સરડવા દ્વારા સંભાળવામાં આવી હતી.









