મોરબી: મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા શનિવારે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS) ના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગને સ્પર્શતા જીએસટીના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને સિરામિક ટાઈલ્સ પર જીએસટીનો દર ઘટાડીને ૫% કરવાની જોરદાર રજૂઆત કરવામાં આવી હતી.આ સેમિનારમાં DGTS ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ સુમિતકુમાર તથા પંકજકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સિરામિક ઉદ્યોગકારોને નડતી મુખ્ય સમસ્યાઓ જેવી કે એક્સપોર્ટ પ્રક્રિયામાં આવતી અડચણો અને ઈ-વે બિલ (e-way bill) જનરેટ કરવામાં થતી મુશ્કેલીઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. અધિકારીઓએ આ ટેકનિકલ મુદ્દાઓ પર ઉદ્યોગકારોને ઝીણવટભર્યું માર્ગદર્શન આપીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કર્યો હતો.
આ તકે મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ઉદ્યોગના હિતમાં એક મહત્વની માંગણી મૂકવામાં આવી હતી. હાલમાં સિરામિક ઉત્પાદનો પર જે જીએસટી સ્લેબ છે તે ઘટાડીને ૫% કરવા માટે અધિકારીઓ સમક્ષ મજબૂત દલીલો સાથે રજૂઆત કરવામાં આવી હતી. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે ટેક્સના દરમાં ઘટાડો કરવાથી ઉદ્યોગને વેગ મળશે અને વૈશ્વિક બજારમાં પ્રતિસ્પર્ધામાં ટકી રહેવું સરળ બનશે.
આ સેમિનારમાં મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, અજયભાઈ મારવાણીયા, સંદીપભાઈ કુંડારીયા તેમજ પૂર્વ પ્રમુખ નિલેષ જેતપરીયા અને મુકેશભાઈ કુંડારીયા સહિતના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અન્ય સંલગ્ન એસોસિએશનના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમ સરકાર અને ઉદ્યોગ વચ્ચે સેતુરૂપ સાબિત થયો હતો, જેનાથી ઉદ્યોગકારોને કાયદાકીય ગૂંચવણો સમજવામાં સરળતા રહી હતી.











