ટંકારા :14 ફેબ્રુઆરીના રોજ ટંકારાની ધરતી પર એક ઐતિહાસિક દ્રશ્ય જોવા મળ્યું હતું. ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના માતૃશ્રી ભીમાબાઈની જન્મ જયંતીના અવસરે આદિવાસી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. જેમાં મોરબી સહિત રાજકોટ, અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના હજારો આદિવાસી ભાઈ-બહેનો અને આગેવાનો ઉમટી પડ્યા હતા.
આ સંમેલનમાં મુખ્યત્વે ખેત મજૂરોના શોષણ અને પાયાની સુવિધાઓ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં નીચે મુજબની મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી.
- રોજગારી અને ફંડ: ખેત મજૂરોને પૂરતી રોજગારી મળે અને અછત રાહતના સરકારી ફંડમાં યોગ્ય હિસ્સો મળે.
- શિક્ષણ અને સુવિધા: અંતરિયાળ વિસ્તારોમાં રહેતા બાળકો માટે પ્રાથમિક શિક્ષણ અને શૌચાલયોની તાત્કાલિક વ્યવસ્થા થાય.
- શોષણ સામે લાલ આંખ: ચોથા કે પાંચમા ભાગે મજૂરી કરાવી શોષણ કરતા ખેડૂતો સામે કાયદેસરના પગલાં લેવાની રજૂઆત કરાઈ. તેમજ જો ખેત મજૂરોને ‘ત્રીજા ભાગ’ મુજબ યોગ્ય મહેનતાણું નહીં મળે, તો ખેતીકામ છોડી કાયમી ધોરણે કારખાના-ફેક્ટરીમાં કામે ચડી જવાની હાકલ કરવામાં આવી છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા મુખ્ય કન્વીનર એડવોકેટ મનસુખભાઈ ચૌહાણે અનેક જિલ્લાઓનો પ્રવાસ ખેડ્યો હતો. આ તકે એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ (મુખ્ય કન્વીનર), નાગજીભાઈ ચૌહાણ (બહુજન અગ્રણી), એડવોકેટ સમ્રાટ અશોકભાઈ, એડવોકેટ તૃષ્ણા પાટેકર, એડવોકેટ જોશનાબેન ચૌહાણ, લલિતભાઈ પરમાર (મધ્યપ્રદેશ), કૈલેશભાઈ મોહનીયા (ધાનપુર), બાબુભાઈ પલાશ (ધાનપુર), કનુભાઈ પસાયા (ધાનપુર), પરવતભાઈ બામણીયા (ધાનપુર), જાલમભાઈ મોહનીયા (ધાનપુર), મહેશભાઈ કટારા (ધાનપુર), કનેશભાઈ ભૂરિયા (દાહોદ), પરવતભાઈ સંગોળ (ધાનપુર), નરસિંગભાઈ સંગોળ (ધાનપુર), ઈશ્વરભાઈ ડામોર (અલીરાજપુર), દિનેશભાઈ વસુનીયા (ધાનપુર) સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આમ, ટંકારા ખાતે યોજાયેલું આ સંમેલન આદિવાસી સમાજના હક્કો માટે એક નવી દિશા આપનારું સાબિત થયું છે.











