ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાની ખાતરી નહિ અપાઈ ત્યાં સુધી કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો હાઇવે ઉપરથી ઉભા નહિ થાય : જિલ્લા કોંગ્રેસ પ્રમુખ
મોરબી : મોરબી જિલ્લામાં સિંચાઈના પાણી પ્રશ્ને કોંગ્રેસ દ્વારા આવતીકાલે શુક્રવારે હળવદ- કચ્છ હાઇવે ઉપર ખેડૂતોને સાથે રાખી વિરોધ કરવામાં આવશે. જેમાં રોડ ઉપર પડાવ નાખી જ્યાં સુધી ખાતરી નહિ મળે ત્યાં સુધી હાઇવે બ્લોક કરી દેવાનું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે એલાન કર્યું છે.
આ અંગે વિગતો આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ જણાવ્યું કે ધ્રાંગધ્રા શાખા નહેર તથા તેના પિયત વિસ્તારમાં આવતા મોરબી જીલ્લાના ગામો જેવા કે, શાપર, જસમતગઢ, નવા સાદુળકા, જુના સાદુળકા, કેરાળા, હરિપર, જીવાપર, ચકમપર, જેતપર, અણીયારી, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, ગાળા, વાઘપર, પીલુડી, મુંગણ, રાપર, રવાપર (નદી), બેલા, સોખડા, બહાદુરગઢ, ખીરઈ, ફતેપર, માળીયા, વીરવદરકા, વાઘરવા, માણાબા, ખાખરેચી, સુલતાનપર, નવાગામ, કુંભારીયા, રોહીશાળા, વેજલપર, જુના ઘાંટીલા, સુસવાવ, નવા ઘાંટીલા, જુના દેવળીયા, નવા દેવળીયા, સુરવદર સહિતના ગામોના ખેડુતોને આગોતરા વાવેતરમાં સિંચાઈનું પાણી મળે તે માટે કોંગ્રેસ દ્વારા ન્યાયની લડત આપવામાં આવશે.
જેમાં કાલે તા.6ના રોજ સવારે 10:30 કલાકે દેવળીયા-રોહીશાળા રોડ પર સી.એન.જી. પંપની બાજુમાં ડી-૨૪ કેનાલ પાસે રોડ વચ્ચે કોંગ્રેસ આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો પડાવ નાખશે. જ્યાં સુધી પૂરતું સિંચાઈનું પાણી આપવાની ખાતરી નહિ મળે ત્યાં સુધી આ રોડ ઉપર બેસીને રોડ બ્લોક કરી દેવામાં આવશે.











