પિતા અને પુત્રનું અપહરણ કરી ઓફિસમાં ગોંધી રાખી વધારાના 64 લાખ રૂપિયા માંગી જાનથી મારી નાખવા ધમકી આપ્યાની ફરિયાદ
મોરબી : બે દિવસ પૂર્વે રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ ટ્રેક્ટરના શોરૂમમાં કાર લઈને ઘુસી ગયેલા મોરબીના વ્યાજખોરે આતંક માચાવ્યાની ઘટનામાં આ વ્યાજખોરે આગાઉ 15 ટકા વ્યાજે નાણાં ધીરી વ્યાજ અને મુદલની રકમ વસુલ કરી લીધી હોવા છતાં પણ પિતા અને પુત્રનું અપહરણ કરી ઓફિસમાં ગોંધી રાખી વધારાના 64 લાખ રૂપિયા માંગી જાનથી મારી નાખવા ધમકી આપવા મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.
કોલસાના વેપારી જય પ્રવીણભાઈ અંબાણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, છ વર્ષ પૂર્વે કોલસાના ધંધામાં રૂપિયાની જરૂર પડતા આરોપી દિનેશ ગગુભાઈ મકવાણા રહે.ધર્મસૃષ્ટિ સોસાયટી, ઉમિયા સર્કલ મોરબી નામના વ્યાજખોર પાસેથી તેની ઓફિસે જઈ રૂપિયા 15 લાખ 15 ટકા વ્યાજે મેળવ્યા હતા. બાદમાં આ તમામ નાણાં વ્યાજ સહિત પરત આપી દીધા બાદ ફરી રૂપિયા 50 લાખ 5 ટકા વ્યાજે લઈ વ્યાજ અને મુદલ પરત કરી દીધા હતા.
આરોપી પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ પઠાણી ઉઘરાણી કરી આગાઉ તેના પિતા પ્રવીણભાઈનું અપહરણ કરી વાવડી ચોકડીએ આવેલ ઓફિસમાં ગોંધી રાખ્યા હતા અને જે તે સમયે આજીજી કરી વ્યાજ અને મુદલ ચૂકવી આપી હતી. વધુમાં ફરિયાદી જય અંબાણીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વ્યાજે નાણાં લેતા સમયે અલગ અલગ રકમના ચેક આરોપીને આપ્યા હોય જે ચેક પરત માંગતા આરોપીએ પછી ચેક લઈ જવાનું કહ્યું હતું અને વ્યાજ મુદલ આપવામાં મોડું થયું હોય હવે તારે 64 લાખ આપવા પડશે કહી અપહરણ કરી ઓફિસે લઈ જઈ ખેતીની જમીનના દસ્તાવેજ પડાવી લઈ 64 લાખ વધારાના નહિ આપે તો પિતા પુત્રને જાનથી મારી નાખવા ધમકી આપતા ફરિયાદી જય કોઈને કહ્યા વગર ડરનો માર્યો અમદાવાદ જતો રહ્યો હતો. દરમિયાન બે દિવસ પૂર્વે આરોપી દિનેશ ગગુભાઈ મકવાણાએ જયના પિતાના શોરૂમ ખાતે આતંક મચાવી ટ્રેક્ટરની ચાવીઓ પડાવી લેવાની ઘટનાની જાણ થતા મોરબી આવી વ્યાજખોર દિનેશ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










