મોરબી : મોરબી જિલ્લામાં હાલ એકપણ સરકારી મનોરંજન સેવા (દૂરદર્શન કે ઓલ ઈન્ડિયા રેડિયો કેન્દ્ર) કાર્યરત નથી. ત્યારે મોરબી શહેરમાં FM રેડિયો સ્ટેશન ફાળવવા અંગે મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, સરકારના અનેક કાર્યક્રમોનું પ્રસારણ રેડિયો સ્ટેશન મારફતે કરવામાં આવે છે. પરંતુ મોરબીમાં હાલ કોઈ રેડિયો સ્ટેશન ન હોવાથી મોરબી જિલ્લાની 12 લાખથી વધુ જનતા આ લાભથી વંચિત રહી જાય છે. અગાઉ મોરબીમાં દૂરદર્શન કેન્દ્ર કાર્યરત હતું. તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાં FM રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં સિરામિક, ઘડિયાળ, પેપરમીલ સહિતના ઉદ્યોગ કેન્દ્ર હોવાથી ભારતભરમાંથી લોકો વેપાર માટે મોરબી આવતા હોય છે. જો મોરબી શહેરને FM રેડિયો સ્ટેશન આપવામાં આવે તો આ લાભ મોરબીની જનતાને મળી શકે. જેથી મોરબીને FM રેડિયો સ્ટેશન આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.











