કેશવ બેન્કવેટ હોલ ખાતે કાર્યક્રમનું આયોજન; રાજકીય- સામાજિક મહાનુભાવો રહેશે ઉપસ્થિત
મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા શિક્ષણ ઉત્કર્ષ અને સંગઠનના હેતુથી છેલ્લા 54 વર્ષથી નિરંતર યોજાતો “સરસ્વતી સન્માન સમારંભ” આગામી 26 જુલાઈ 2026, રવિવારના રોજ યોજાવા જઈ રહ્યો છે. આ સમારંભ લીલાપર કેનાલ રોડ પર આવેલા કેશવ બેન્કવેટ હોલ ખાતે બપોરે 3:00 કલાકે યોજાશે
ધોરણ 5 થી અનુસ્નાતક સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું થશે બહુમાન
રાજપૂત સમાજના ધોરણ 5 થી અનુસ્નાતક કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર સમાજના પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર, સન્માન અને સ્મૃતિચિન્હ અર્પણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમારંભમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વાંકાનેરના રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા ઉપસ્થિત રહેશે. મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મંત્રી સંજયસિંહજી વિજયસિંહજી મહિડા, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી રિવાબા રવિન્દ્રસિંહજી જાડેજા, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા, અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહજી મહીપતસિંહજી જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા, પૂર્વ નાયબ સચિવ અશોકસિંહજી પરમાર અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હરદેવસિંહજી જાડેજા હાજરી આપશે.
આ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિ અને અતિથિ વિશેષ તરીકે દિલુભા ઉદયસિંહજી, હિરેન્દ્રસિંહજી દેવેન્દ્રસિંહજી ઝાલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ અધ્યક્ષ નિરૂભા બેચુભા ઝાલા, ઝાલાવાડ રાજપૂત સમાજ પ્રમુખ ડો. રૂદ્રસિંહજી ઝાલા, મોરબી નાયબ કલેક્ટર પ્રવિણસિંહજી જેતાવત તેમજ મોરબી DSO હંસરાજસિંહજી ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા (અદેપર) તથા મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજા (વિરપરડા) દ્વારા સમાજના સર્વે લોકોને આ સન્માન સમારંભમાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.










