મોરબી: તા. 19 જુલાઈ, 2026ના રોજ 70 વર્ષીય વૃદ્ધ દર્દીને અત્યંત ગંભીર હાલતમાં આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. દર્દીની તપાસ દરમિયાન ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા જાણવા મળ્યું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 71% હતું અને બ્લડ પ્રેશર પણ અત્યંત નીચું હતું. પૂરતો ઓક્સિજન આપ્યા છતાં દર્દીના ઓક્સિજન લેવલમાં કોઈ નોંધપાત્ર સુધારો ન થતાં તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર લઈ સારવાર શરૂ કરવામાં આવી હતી.
આગળની તપાસમાં સામે આવ્યું કે દર્દીને હૃદય નો હુમલો આવ્યો હતો અને હૃદયનું પમ્પિંગ ફંક્શન માત્ર 15થી 20 ટકા જેટલું જ બચ્યું હતું. એટલું જ નહીં, દર્દી એસ્પિરેશન ન્યુમોનિયા જેવી જીવલેણ ફેફસાની ગંભીર બીમારીથી પણ પીડાઈ રહ્યા હતા અને તેમની કિડની પર પણ ગંભીર અસર પહોંચી હતી.
હૃદય, ફેફસાં અને કિડની જેવા શરીરના અતિ મહત્વના અંગો એકસાથે ગંભીર રીતે અસરગ્રસ્ત હોવાથી દર્દીની સ્થિતિ અત્યંત નાજુક અને જીવલેણ બની ગઈ હતી. આવા કપરા સંજોગોમાં દર્દીને ડૉ. સત્યજીતસિંહ જાડેજાના માર્ગદર્શન અને સઘન સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા.
ડૉક્ટરની સમયસર સારવાર, સતત મોનીટરીંગ અને આયુષ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમના પ્રયાસોના પરિણામે દર્દીના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. માત્ર 6 દિવસની સારવાર બાદ દર્દી સંપૂર્ણપણે સ્થિર થઈ પોતાના પગે ચાલીને હોસ્પિટલમાંથી રજા મેળવવામાં સફળ રહ્યા.
દર્દી તથા તેમના પરિવારજનોએ આ સફળ સારવાર બદલ ડૉ. સત્યજીતસિંહ જાડેજા અને આયુષ હોસ્પિટલની પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.










