વાહનચાલકોની સલામતી અર્થે તાકીદે તકેદારીના પગલા લેતું જિલ્લા વહીવટી તંત્ર
મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને નાગરિકોની સુરક્ષા અને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત રસ્તાઓ બંધ કરી વાહન વ્યવહાર કે લોકોની અવર જવર બંધ કરાવવામાં આવી છે.
જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાણીના પ્રવાહ કે રસ્તાની સ્થિતિને લીધે મોરબી તાલુકાનો મોરબી-ધરમપુર-સાદુળકા રોડ તથા આંદેરડા-વાંકડા રોડ, માળિયા તાલુકામાં એન.એચ. માળિયા એપ્રોચ રોડ તેમજ વાંકાનેર તાલુકામાં જાલી – દેરાળા-રાજસ્થળી રોડ, કાછિયાગાડા-ગાગિયાવાદર-રાજસ્થળી રોડ અને લુણસર-રાજસ્થળી રોડ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે.
વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો અને ગ્રામજનોને સુરક્ષિત રહેવા, પાણીના ભારે પ્રવાહવાળા રસ્તાઓ પર સાહસ ન કરવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.










