મોરબી શહેરના લોકો માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 3 મહિનાથી બંધ રહેલો સુપર ટોકિઝથી રેલવે સ્ટેશન સુધીનો રોડ આખરે નવો બની ગયા બાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીમાં સુપર ટોકિઝથી રેલવે સ્ટેશન જતા મુખ્ય રોડ પર નવીનીકરણનું કામ ચાલુ હોવાથી છેલ્લા 3 મહિના સુધી આ રોડ વાહનવ્યવહાર માટે સદંતર બંધ રાખવામાં આવ્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પૈકીનો એક હોવાથી રસ્તો બંધ રહેતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો અને ડાયવર્ઝનના કારણે અન્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. જો કે, હવે રોડનું કામ પૂર્ણ થઈ જતાં ગઈકાલે આ રસ્તો વાહનચાલકો માટે વિધિવત રીતે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.
આ મહત્વનો માર્ગ ખુલતાની સાથે જ શહેરના ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે અને વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી રાહત મળશે. વધુમાં, આ રસ્તો ખુલ્લો થતાં હવેથી એસટી બસો પણ રાબેતા મુજબ આ જ રોડ પરથી પસાર થશે, જેના કારણે મુસાફરોની પણ સુવિધા વધશે અને એસટી સ્ટેન્ડ સુધી પહોંચવામાં સરળતા રહેશે.










