ટંકારા: રવાપર નિવાસી ફુલરીયા પરિવારે સ્મૃતિશેષ પૂજ્ય પિતા કાનજીભાઈ વેલાભાઈ ફુલરીયાની સ્મૃતિમાં અનોખી રીતે તર્પણ કરી સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વસંતભાઈ, રામભાઈ ચમનભાઈ, પ્રવીણભાઈ અને અરવિંદભાઈના સંયુક્ત વિચારથી ટંકારા તાલુકાના વાઘગઢ ગામની શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને સ્કૂલ યુનિફોર્મની કપડાની જોડ ભેટ આપવામાં આવી હતી.
પૂજ્ય પિતાની સ્મૃતિને બાળકોના શિક્ષણ સાથે જોડીને ફુલરીયા પરિવારે ‘શિક્ષિત ભારત, વિકસિત ભારત’ના સંકલ્પમાં યોગદાન આપ્યું હતું. પરિવાર દ્વારા અગાઉ પણ પિતાની સ્મૃતિમાં આ જ શાળાના બાળકો માટે વિવિધ ભેટો તેમજ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. ફુલરીયા પરિવારને શિક્ષણ અને ગામના વિકાસ પ્રત્યે વિશેષ લાગણી છે. બાળકોના શિક્ષણમાં પોતાનું યોગદાન આપી પરિવાર દ્વારા ધન્યતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે વાઘગઢ ગામ તથા શાળા પરિવારે ફુલરીયા પરિવારનો આભાર વ્યક્ત કરી તેમના સેવાભાવી કાર્યનું ઋણ સ્વીકાર્યું હતું. પરિવારની આ પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.














