મોરબી શહેરના વોર્ડ નં. 9 વિસ્તારમાં આવેલ અવની સોસાયટીના રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, ડ્રેનેજ સમિતિના ચેરમેન તથા વોર્ડ નં. 9ના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયા, ભગવતી કુંડારિયા અને હિરેનભાઈ કરોતરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અવની સોસાયટીમાં બનનાર આ રોડની લંબાઈ આશરે 550 મીટર રહેશે અને તેના નિર્માણ માટે અંદાજિત રૂ. 68 લાખનો ખર્ચ કરવામાં આવશે. આ રોડનું કામ લોકભાગીદારીના આધારે હાથ ધરવામાં આવશે. જેમાં રોડના કુલ ખર્ચના 80 ટકા રકમ સરકાર દ્વારા જ્યારે 20 ટકા રકમ સોસાયટી દ્વારા આપવામાં આવશે. વોર્ડ નં. 9 વિસ્તારમાં મહત્વપૂર્ણ એવા આ રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત થતાં સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી જોવા મળી હતી. રોડનું કામ પૂર્ણ થયા બાદ અવની સોસાયટીના સ્થાનિક રહીશોને વધુ સુવિધાયુક્ત માર્ગની સુવિધા ઉપલબ્ધ થશે.













