યંગ ઇન્ડિયા ગ્રૂપની ‘લોહીમાં છે માનવતા’ મુહિમ હેઠળ કરી અનોખી ઉજવણી: કેક કાપવાને બદલે રક્તદાન કરી દર્દીઓને નવજીવન આપવા કરી અપીલ
મોરબી ડેઈલી : સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી કેક કાપીને કે પાર્ટીઓ પૂરતી સીમિત રહેતી હોય છે, ત્યારે મોરબીના દિલીપ દલસાણીયા દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રૂપની “લોહીમાં છે માનવતા” રક્તદાન મુહિમ અંતર્ગત જીવનનું 42 મું રક્તદાન કરીને અનોખી અને માનવતાપૂર્ણ મિસાલ કાયમ કરવામાં આવી છે. આ પ્રસંગે તેમણે રક્તદાનને માત્ર સામાજિક પ્રવૃત્તિ નહીં, પરંતુ કોઈ અજાણ્યા જરૂરિયાતમંદ દર્દીના અમૂલ્ય જીવનને બચાવવાનું ઉત્તમ પુણ્યકાર્ય ગણાવી સૌને નિયમિત રક્તદાન કરવા પ્રેરિત કર્યા હતા.
રક્તની અનિવાર્ય જરૂરિયાત ક્યારેય સમય જોઈને આવતી નથી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દીઓ હોય, પ્રસૂતિ દરમિયાન માતાને લોહીની જરૂરિયાત ઊભી થાય, થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકો હોય કે કોઈ મોટી સર્જરી દરમિયાન સારવાર લઈ રહેલા દર્દીઓ—આ તમામ માટે સમયસર મળેલું રક્ત જીવનદાન સમાન સાબિત થાય છે. રક્તદાન કરવાથી શરીરમાં કોઈપણ પ્રકારની નબળાઈ આવતી નથી, પરંતુ કોઈના જીવનમાં નવી આશા અને રોશની પ્રગટે છે.
પોતાના જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ કે અન્ય કોઈપણ શુભ પ્રસંગને માત્ર વ્યક્તિગત ખુશી પૂરતો સીમિત રાખવાને બદલે રક્તદાન જેવા સેવાકાર્ય સાથે જોડીને યાદગાર બનાવવો જોઈએ. યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ચલાવવામાં આવતી “લોહીમાં છે માનવતા” મુહિમનો મુખ્ય ઉદ્દેશ્ય પણ સમાજમાં નિયમિત અને સ્વૈચ્છિક રક્તદાન અંગે લોકજાગૃતિ લાવવાનો છે. આ અવસરે દરેક સ્વસ્થ અને પાત્ર નાગરિક આગળ આવી નિયમિત રક્તદાન કરે અને માનવતાની આ શ્રુંખલાને વધુ મજબૂત બનાવે તેવી અપીલ કરવામાં આવી છે.











