બસ ટંકારાની આર્ય વિદ્યાલયની હોવાની પ્રાથમિક માહિતી : બસ સળગીને ખાખ થઈ ગઈ
મોરબી ડેઈલી : મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ પાસે બપોરે એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં એક સ્કૂલ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોકે, પોલીસની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીના કારણે બસમાં સવાર તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે.
ઘટનાની પ્રાથમિક વિગત
મળતી માહિતી મુજબ, ટંકારાની આર્ય વિદ્યાલયની સ્કૂલ બસ મિતાણા ગામમાં પુલ નીચેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન બસમાં ડ્રાઈવરની સીટ પાસેના વાયરિંગમાંથી અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
પોલીસની ત્વરિત કામગીરીથી ટળી મોટી
જાનહાનિ ઘટના બની ત્યારે બસમાં મોટી સંખ્યામાં બાળકો સવાર હતા. સદનસીબે, તે જ સમયે 112 ની પોલીસ ટીમ ઘટનાસ્થળે હાજર હતી. બસમાં આગ લાગતાની સાથે જ પોલીસે તાત્કાલિક ધોરણે બારી તેમજ દરવાજા મારફતે તમામ બાળકોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. બાળકોને સમયસર સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવામાં આવતા કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી અને વાલીઓ તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
આ કામગીરીમાં જોડાયેલ પોલીસ કર્મચારીઓએ સમય સૂચકતા વાપરી અને વિધાર્થીઓનો જીવ બચાવવામાં મદદ કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરેલ છે જેથી એસપી મુકેશ પટેલ દ્વારા દરેક પોલીસને રૂપિયા 2000 નું ઇનામ GST સહિત તેમજ આ.સો. ડ્રાઇવર અને જીઆરડીને પ્રશંસા પત્ર પાઠવીને તેમની કામગીરી બિરદાવવાની જાહેરાત કરી છે. જેમા પોલીસ કર્મચારી જયેન્દ્રસિંહ ઈન્દુભા, દશરથસિંહ ઘનશ્યામસિંહ, દિવ્યેશભાઈ વાલજીભાઈ ભલગામડીયા અને હિમાંશુ રાજેશભાઈ સાકરીયાનો સમાવેશ થાય છે.












