ટંકારા : ગઈ કાલે તા. 12-1-2025ના રોજ રાત્રે ટંકારા તાલુકાના સરાયા ગામે પ્રાકૃતિક ખેતી અને ગોપાલન વિષય પર એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગામ હજુ ખરા અર્થમાં ખેડૂતોનું ગામ છે. 50 %થી વધુ ગ્રામજનો ગોપાલન કરે છે. રાત્રે ઠંડીમાં પણ 85 જેટલા બહેનો તથા 50થી વધુ ભાઇઓએ શિબિરનો લાભ લીધો.
આ તકે મોરબી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ તથા ગૌશાળા સંચાલક જીલેશભાઈ કાલરિયા, નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક સરડવા સાહેબ, ગોપાલન નિષ્ણાત તથા લેખક પ્રાણજીવન કાલરિયા, ગાયત્રી પરિવાર મોરબીના મણીભાઈ ગડારાએ ખેડૂતો તથા ગોપાલકોને ઉપયોગી માર્ગદર્શન આપેલ. પ્રાણજીવન કાલરિયાએ હાજર બહેનોને કીચનગાર્ડન માટે પાંચ પ્રકારના શાકભાજીના બીજનું કીટ આપી બહેનોને ઘરે ઝેર મુક્ત શાકભાજી તૈયાર કરી ખાવા માટે પ્રેરણા આપી હતી. પ્રાકૃતિક ખેતી અને ગૌમાતાને બચાવવા માટે ગામેગામ આવા આયોજનોની તાતી જરૂરિયાત છે. મોરબી જિલ્લામાં આવા આયોજન તથા વધુ માહિતી માટે 9426232400 પર ફોન કે વોટ્સએપ કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

