મોરબી : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ
26 માર્ચના રોજ મોરબી આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીની મોરબી મુલાકાત દરમિયાન તેઓને રૂબરૂ મળીને મોરબીના પ્રાણ પ્રશ્નોની રજૂઆત માટે આમ આદમી પાર્ટી તેમજ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના નેતાઓએ મુખ્યમંત્રી પાસે મળવા માટે સમય માગ્યો છે.
આજ રોજ મોરબી કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરીને આમ આદમી પાર્ટી તેમજ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મોરબીની મુલાકાત દરમિયાન સમય ફાળવવા જણાવાયું છે. આમ આદમી પાર્ટી તેમજ તેમજ રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના નેતા મુખ્યમંત્રીને રૂબરૂ મળીને મોરબીના પ્રાણ પ્રશ્નો જે વર્ષોથી વણઉકેલ્યા છે તે બાબતે તેમજ મોરબીમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશમાં વ્હાલા દવલાની નીતિ બાબતે, મોરબી જિલ્લામાં કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે, સરકારી ઓફિસોમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે, જમીન કૌભાંડોમાં અમુક સરકારી કર્મચારીની મીલી ભગત બાબતે, દેશી દારૂના હાટડા બાબતે, સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ બાબતે તેમજ મોરબીમાં ધીમી ગતિએ ચાલતા વિકાસના કામો બાબતે રજૂઆત કરશે. તો આ બાબતે સમય ફાળવવામાં આવે તેવી માગ કરાઈ છે. જો સમય ફાળવવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન કરીશું તેમ પણ જણાવાયું છે.












