મોરબી : મોરબીના સામાજિક આગેવાન અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને નકલી દવા, બિયારણ, ખાતર વેચનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાતમાં નકલી બિયારણો, દવાઓ, ખાતર વગેરેનું વેચાણ મોટા પાયે થઈ રહ્યું છે. જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. ખેડૂતોને ઓછું ઉત્પાદન મળી રહ્યું છે જેથી ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. નકલી બિયારણ, દવા અને ખાતરના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. સરકાર પણ આવી નકલી વસ્તુઓનું વેચાણ ક૨તાં વેપારીઓને બચાવવાનું કામ કરી રહી છે. પોલીસ પણ આવા માફિયાઓને છાવરવાનું કામ કરી રહી છે. આ સમજવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા એક પરીપત્ર મુજબ હવેથી પોલીસ વિભાગ કોઈ ખેડૂત કે અન્ય કોઈની આ ડુપ્લીકેટ માફિયાઓ સામેની ફરિયાદ ખેતીવાડી વિભાગની પૂર્વ મંજુરી વગર લઈ શકશે નહિ અને તાત્કાલિક કાર્યવાહી નહિ થઈ શકવાના કારણે આ માફીયાઓને પોતાના કરતૂતો છુપાવવા માટે પુરાવાઓ નાશ કરવાનો સમય મળશે. તેથી આ પરિપત્ર રદ કરવામાં આવે અને આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવા નિયમ બનાવી ખેડૂતોને બચાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ છે. જો આમ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના ખેડૂતોને સાથે રાકીને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવાયું છે.










