ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી ભારતીય સેનાની આંતકવાદ વિરોધી જડબાતોડ કાર્યવાહીને બિરદાવી
મોરબી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકીઓએ હુમલો કરીને દેશના નિર્દોષ નાગરિકોની હત્યા કર્યાને પગલે દેશભરમાં ફાટી નીકળેલા આક્રોશને કારણે વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ ભારતીય સેનાએ આતંકીઓનો સફાયો કરીને પહેલગામનો બદલો લીધો હતો. આથી ઓપરેશન સિંદૂરને બિરદાવવા અને ભારતીય સેનાના જુસ્સાને વધારવા માટે આજે મોરબીમાં ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં લોકોએ જોડાઈને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી ભારતીય સેનાની આંતકવાદ વિરોધી કાર્યવાહીને બિરદાવી હતી.

મોરબીમાં ભાજપ દ્વારા આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તિરંગા યાત્રા મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસેથી ભારત માતા કી જય કી જય અને વંદે માતરમના બુલંદ નારા સાથે નીકળી હતી. જેમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુલર્ભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા સહિતના અગ્રણીઓ અને દરેક ક્ષેત્રના આગેવાનો તેમજ વેપારીઓ અને મોટી સંખ્યામાં લોકો સ્કૂટર અને બાઇક સાથે જોડાયા હતા. આ ભવ્ય તિરંગા યાત્રાએ મુખ્યમાર્ગો ફરી લોકોમાં દેશભક્તિને ઉજાગર કરી હતી. તિરંગા યાત્રા અંગે અગ્રણીઓ અને વેપારીઓએ જણાવ્યું હતું કે, પહેલગામમાં આંતકવાદીઓ હુમલો કરી દેશની નારીઓની અસ્મિતાના પ્રતીક સમાન સિંદૂરને ઉજાળી નાખ્યા હતા. જેના જવાબમાં ભારતના વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ ભારતીય સેનાના બહાદુર જવાનોએ ઓપરેશન સિંદૂર પાક પ્રેરિત આંતકવાદીઓને કેમ્પ ઉડાવી દઈને આંતકીઓનો ખાત્મો બોલાવી ભારતીય નારીના સિંદૂર ભૂસવાના અપમાનનો બદલો લેતા ભારતીય સેનાની આ કાર્યવાહીને બિરદાવવા અને સમગ્ર દેશ તેમની પડખે જ ઉભો હોવાનું પ્રતીત કરાવવા માટે આ તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ તિરંગા યાત્રામાં ઠેરઠેર દેશભક્તિનું મોજું ફરી વળ્યું હતું.















