મોરબી : મોરબીમાં વર્ષોથી રઝળતા ઢોરના ત્રાસનો પ્રશ્ન સળગતો રહ્યો છે. જો કે મહાનગરપાલિકાએ રઝળતા ઢોરની સમસ્યા દૂર કરવા ઢોર પકડ ઝુંબેશ હાથ ધરી હતી. પણ મનપાની આ ઝુંબેશનું સુરસુરીયું થઈ હોય ઠેરઠેર રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ સામે આવી છે. જેમાં મોરબીના જેલ રોડ ઉપર આવેલ બોરીચાવાસના રહીશોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં આખલાઓનો ભારે ત્રાસ છે. ગમે ત્યારે અખલાઓ વચ્ચે લડાઈ થાય છે. આ આખલાઓની લડાઈમાં નિર્દોષ લોકોનો જીવ તાળવે ચોંટી જાય છે.
હમણાં જ બોરીચા વાસમાં આખલા યુદ્ધમાં એક વ્યક્તિ માંડ માંડ બચ્યા હતા.તેઓએ આખલા યુદ્ધ વખતે ઠેકડો મારી દેતા તેમનો જીવ બચી ગયો હતો.આ વિસ્તારમાં આખલાઓ લડતા લડતા યુદ્ધનું મેદાન બનાવી દેતા લોકો તેનાથી બચવા ભાગદોડી કરે છે. ત્યારે આ આખલાઓની લડાઈમાં લોકોના કિંમતી વાહનો હડફેટે ચડી જવાથી આ વાહનોને ભારે નુકસાન થાય છે. આટલું ઓછું હોય એમ આખલા લડતા લડત દુકાનમાં ઘુસી જાય છે.આથી લોકો મુશ્કેલીમાં મુકાય જાય છે. જો કે રહીશોને કહેવા મુજબ ઢોર પકડ ઝુંબેશમાં આ ઢોરને લઈ ગયા બાદ રાત્રે કોઈક ઢોર પાછા મૂકી જાય છે. તેથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહે છે. આખલાઓની છાસવારે લડાઈથી લોકો ભયભીત બની ગયા છે. તેથી આ બાબતે મનપા યોગ્ય કાર્યવાહી કરે તેવી રહીશોએ માંગ કરી છે.











