મોરબી : મોરબી શહેર તાલુકા અને વાંકાનેરમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ અપમૃત્યુના ચાર – ચાર બનાવના યુવક, યુવતી અને બે પરિણીતાઓએ જિંદગીથી કંટાળી આત્મઘાતી પગલું ભરી લેતા અરેરાટી મચી ગઇ છે. મોરબી શહેરમાં યુવતી, પરિણીતા અને યુવકે ગળેફાંસો ખાઈને તેમજ વાંકાનેરમા પરિણીતાએ તળાવમાં પડી આપઘાત કરી લીધો હતો.
પ્રથમ બનાવમાં મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર પંચવટી સોસાયટીમાં રહેતી રિદ્ધિબેન આશિષભાઈ શુક્લ ઉ.વ.21 નામની યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાના ઘેર આપઘાત કરી લીધો હતો. જ્યારે બીજા બનાવમાં મોરબીની નીલકંઠ સોસાયટીમાં રહેતા ટીલાબા અનિરુદ્ધસિંહ જાડેજા ઉ.વ.48 નામના પરિણીતાએ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના અમરાપર ગામે રહેતા દીપકભાઈ નવઘણભાઈ રૂદાતલા ઉ.વ. 30 નામના યુવકે પોતાના ઘેર પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે ચોથા બનાવમાં વાંકાનેર નંદવાણા શેરીમાં રહેતા મીનાબેન ઠાકરશીભાઈ મઢવી ઉ.વ. 50 નામના પરિણીતાને કેન્સરની બીમારી હોય બીમારીથી કંટાળી ગઈકાલે સવારે ઘેરથી નીકળી જઈ તીથવા ગામ નજીક વડસલ તળાવમાં પડી આપઘાત કરી લીધો હતો.








