મોરબી જિલ્લાના 9માં પોલીસ વડા તરીકે મુકેશકુમાર પટેલે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. તેઓએ લોકોની સુરક્ષા અને સેવાને જ પ્રાથમિકતા આપવાનું જણાવ્યું હતું. સાથે તેઓએ ટ્રાફિક પ્રશ્નનો ગંભીરતાથી અભ્યાસ કરી યોગ્ય પગલાં લેવાનું કહ્યું હતું.
નવા જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે તેઓ મહેસાણા ગામના વતની છે. વર્ષ 2008માં તેઓ પીએસઆઈ તરીકે ગુજરાત પોલીસમાં જોડાયા હતા. બાદમાં તેઓ 2010માં ડીવાયએસપી બન્યા હતા. 2017માં તેમને પ્રમોશન મળ્યું હતું. તેઓએ આઈબી, એસઓજી, સીઆઇડી ક્રાઈમ સહિતની બ્રાન્ચમાં ફરજ બજાવી છે. તેઓએ કહ્યું કે હું પ્રથમવાર મોરબીમાં આવ્યો છું. ફરજના કામે પણ અહીં ક્યારેય આવવાનું થયું નથી. મોરબી જિલ્લામાં લોકોની સેવા અને સુરક્ષા જ તેઓની પ્રાથમિકતા રહેશે. લોકોને કોઈ તકલીફ હોય તો પોલીસનો સંપર્ક કરે. લોકોનું દુઃખ તે અમારૂ દુઃખ છે. અમે લોકોની મુશ્કેલી દૂર કરવા જ અહીં બેઠા છીએ. તેઓએ ઉમેર્યું કે અહીં સિરામિક ઉદ્યોગ મોટો છે. તેમના પ્રશ્નનું પણ કાયદા અનુસાર નિરાકરણ લાવવામાં આવશે. અંતમાં તેઓએ કહ્યું કે ટ્રાફિક સમસ્યાનો અભ્યાસ કરવામાં આવશે બાદમાં યોગ્ય પગલાં પણ લેવામાં આવશે અને લોકોને ભારપૂર્વક અપીલ છે કે હેલ્મેટ પહેરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે.











