મોરબી : વ્યાજખોરો વિરુદ્ધનું પોલીસની ઝુંબેશ માત્ર કાગળ ઉપર જ હોવાની પ્રતીતિ કરાવતા કિસ્સામાં મોરબીમા યુવાનને કારમાં ઉઠાવી જઈ વ્યાજખોર અને તેની ટોળકીએ કારણ વગર ત્રણ લાખના વ્યાજના સાત લાખ ચૂકવવા પડશે કહી બેફામ માર મારી કેનાલના ફેંકી દેવાની ધમકી આપી હોવા છતાં પોલીસે ગુન્હો નહિ બનતો હોવાનું જાહેર કર્યા બાદ પાટીદાર યુવા સેવા સંઘ મેદાને આવતા અંતે પોલીસે પાંચ વ્યાજખોરો વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.
મોરબી બાયપાસ ઉપર સત્કાર રેસિડેન્સીમાં રહેતા અને કારખાનામાં કામ કરતા પાર્થભાઈ સુંદરજીભાઈ બોપલીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી શક્તિ મહેશભાઈ ગજિયા રહે.સામાકાંઠે મોરબી, મહેશ ઉર્ફે લાલાભાઈ આયદાનભાઈ સવસેટા, કાનભા ગઢવી રહે.હજનાળી, યુવરાજ ગઢવી અને જગદીશભાઈ સાધાભાઈ સવસેટા અને તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી શક્તિ ગજિયા ફરિયાદીના પરિચયમાં હોય અવાર નવાર જરૂરત પડે ત્યારે તેની પાસેથી વ્યાજે પૈસા લેતો હતો.
બીજીતરફ બે અઢી માસ પહેલા ફરિયાદી પાર્થને આમરણ જવું હોવાથી આરોપી શક્તિ પાસેથી કાર લઈ ગયો હતો અને બાદમાં બગથળા પાસે રાત્રીના સમયે સિઝર લોકોએ પાર્થને રોકી ગાડીના હપ્તા બાકી હોય કાર લઈ લીધી હતી જેથી શક્તિએ કારના હપ્તાના 3.28 લાખ બાકી હોય કારણ વગર પાર્થને ત્રણ લાખ આપવા દબાણ કર્યું હતું. વધુમા બાદમાં પાર્થને 25 હજારની જરૂર પડતા આરોપી શક્તિએ એક બાઈક આપી ગમે ત્યાં ગીરવે મૂકી પૈસા લઈ લેવા કહી બાદમાં 50 હજારની માંગ કરી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.
બાદમાં ગત તા.1ના રોજ પાર્થ બોપલીયાએ વધુ 10 હજાર માંગતા આરોપીએ હું રૂપિયા દેવા આવું છું કહી ઘર પાસે આવ્યો હતો અને કારમાં બેસાડી સહઆરોપીઓ સાથે વાવડી ભૂમિ ટાવર પાસે લઇ જઈ માર મારી પાર્થના પિતાને બોલાવી સાત લાખની માંગણી કરી હતી. સાથે જ તમામ આરોપીઓએ માર મારી પાર્થને કેનાલમાં ફેંકી દેવા ધમકી આપી શર્ટ ફાડી નાખ્યો હતો. જો કે, આ બનાવના પાર્થ પોલીસ મથકે ફરિયાદ કરવા ગયો હતો ત્યારે પોલીસે અરજી લઈ મામલો સમાધાન કરાવવા પ્રયાસ કર્યો હતો.બાદમાં પાટીદાર સેવા સંઘના મનોજ પનારાએ પોલીસ મથકમાં જ આરોપીઓએ પાર્થને મારી નાખવા ધમકી આપ્યા સહિતના આક્ષેપ કરી પ્રેસ કોન્ફરન્સ કરતા અંતે ગંભીર બાબતે પોલીસે ફરિયાદ નોંધી હતી










