જો બેમાંથી કોઈ એક નામ નહિ રખાય તો 17મીએ મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરવા જવાનું કોંગ્રેસ શહેર પ્રમુખનું એલાન
મોરબી : મોરબીની ભાગોળે 10 લાખ વૃક્ષો સાથેનું મિયાવાકી પદ્ધતિનું જંગલ નિર્માણ પામી રહ્યું છે. જેને મુખ્યમંત્રી 17મીએ વડાપ્રધાનને વર્ચ્યુઅલી અર્પણ કરવાના છે. આ જંગલને નમો વન નામ આપવામાં આવ્યું છે. જેની સામે કોંગ્રેસે વિરોધ નોંધાવીને રાજવી પરિવાર કે સરદાર સાહેબનું નામ આપવાની માંગ ઉઠાવી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું કે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા જે નમો વન બનાવવામાં આવ્યું છે. મોરબી રાજવી પરિવાર દ્વારા 1918ની સાલમાં આ જમીન મોરબી પાંજરાપોળને પશુઓના નિર્વહન માટે આપેલી હોય ત્યારે આજની તકે આટલી મોટી જગ્યા આપનાર રાજવી પરિવારનું કોઈ નામ ન રાખવું કેટલા અંશે યોગ્ય છે. જેમને આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના રજવાડાઓ બલિદાન આપ્યા હોય પોતાની સર્વસ્વ મિલકત- સંપત્તિ આ દેશને આપી હોય ત્યારે આ વનને રાજવી પરિવારના કોઈ વ્યક્તિનું નામ આપવામાં આવે.
વધુમાં તેઓએ જણાવ્યું કે રાજવી પરિવાર ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલનું પણ નામ આપી સરદાર સ્મૃતિ વન નામ રાખી શકાય છે. આ દેશને એક કરવા સરદાર સાહેબે ખૂબ સરસ કાર્ય કર્યું હતું. તેમની સ્મૃતિમાં આ વનનું નામ રાખી શકાય છે.
જો આ બેમાંથી કોઈ નામ નહિ રાખવામાં આવે તો અમારી શહેર કોંગ્રેસની ટીમ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જશું અને સાથે સાથે બીજા ઘણા બધા મુદ્દાઓ પણ લઈને જશું. ભૂતકાળમાં મોરબી નગરપાલિકામાં નંદીઘર, 45 ડી અને આવાસ યોજનાના કામોમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. આ ભ્રષ્ટાચારની ફાઈલો પણ મેં લઇને જશુ. કારણ કે અમારી વાત મોરબીના કમિશનર દ્વારા સાંભળવામાં આવી નથી. હજી સુધી કોઈ તપાસ થઈ નથી. હજી સુધી કોઈ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.











