મોરબીમાં આજથી દાદા ભગવાનના 118મા જન્મજયંતી મહોત્સવનો પ્રારંભ થવાનો છે. તા. 9 નવેમ્બર સુધી રવાપુર-ઘુનડા રોડ પર 32 લાખ ચોરસ ફૂટના વિશાળ ક્ષેત્રમાં આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે મુખ્યમંત્રી પધારવાના હતા પણ તેઓની વિઝીટ અંતિમ ઘડીએ રદ થઈ છે.
જન્મજયંતી મહોત્સવનો શુભારંભ 3 નવેમ્બરના રાતે 8-30 વાગ્યે દીપકભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દીપ પ્રગટાવીને થવાનો હતો. પરંતુ મુખ્યમંત્રી અનિવાર્ય સંજોગોના કારણે હાજરી ન આપવાના હોવાનું હાલ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ આ પ્રસંગે દાદા ભગવાનના જીવનચરિત્ર પર આધારિત પુસ્તક શૃંખલા “જ્ઞાની પુરુષ”ના ભાગ 6 નું દીપકભાઈના હસ્તે વિમોચન કરવામાં આવશે. આ શુભ અવસરે દીપકભાઈના આશીર્વચન યોજાશે. ત્યારબાદ મહોત્સવને અનુરૂપ, દાદા ભગવાનની મૌલિક સમજણને વણી લેતું એક નાટક અને નાના બાળકોનું સમૂહ નૃત્ય યોજાશે.











