માળીયા(મી) તાલુકાના વર્ષામેડી ગામે વર્ષ ૨૦૨૧માં બહેન સાથે પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી બનેવીની છરીના ઘા મારી હત્યા કરનાર આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાને મોરબી સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
માળીયા(મી) તાલુકાના વર્ષામેડી ગામમાં વર્ષ ૨૦૨૧માં બનેલ હત્યાની ઘટનામાં અંતે ન્યાય થયો છે. જેમાં વર્ષ ૨૦૨૧માં ફરીયાદીના દીકરા હરેશભાઈએ દોઢેક મહિના પહેલાં જ આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાની બહેન જીજ્ઞાસા સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યાં હતાં. આ લગ્ન અંગે મનદુઃખ રાખી આરોપી દિનેશે ૨૧ મે ૨૦૨૧ ના રોજ સાંજના સમયે હરેશભાઈ તેમજ તેમના પિતા ભરતભાઈ ગંગારામભાઈ વાઘેલા ઘરે પરત ફરતા સમયે અટકાવી હુમલો કર્યો હતો. આરોપીએ અચાનક છરી વડે હુમલો કરી હરેશભાઈને ડાબી બાજુ પડખા નીચે પાસળી પાસે અને પીઠના ભાગે બે જીવલેણ ઘા માર્યા હતા. ગંભીર ઈજાઓને કારણે હરેશભાઈનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. હુમલા બાદ આરોપી નાસી છૂટ્યો હતો, જોકે બાદમાં ૨૩ મે ૨૦૨૧ના રોજ પોલીસે આરોપી દિનેશ ઉર્ફે નીનો મહાલીયાની અટકાયત કરી હતી.
ત્યારે આ હત્યાનો કેસ સેશન્સ જજ શ્રીવાસ્તવસાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીઓના નિવેદનો અને સરકારી વકીલ વિજય જાનીની ધારદાર દલીલોને આધારે કોર્ટે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાને કલમ ૩૦૨ હેઠળ તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ રૂ.૨૦ હજારના દંડની સજા ફટકારી છે.











