મોરબી : ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં ભગવાન શ્રી રામ મંદિરના શિખર પર ગઈકાલે તારીખ 25 નવેમ્બરના રોજ ધર્મ ધ્વજા લહેરાવવામાં આવી છે, જેને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની દિશામાં પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે. 500 વર્ષના સંઘર્ષ બાદ ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ ધર્મ ધ્વજાના આ ભવ્ય અવસરની ઉજવણી મોરબીમાં પણ ધામધૂમથી કરવામાં આવશે.
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગદળ, માતૃશક્તિ અને દુર્ગાવાહિની દ્વારા આ ઐતિહાસિક ક્ષણની ઉજવણી માટે આજે તારીખ 26 નવેમ્બરને બુધવારના રોજ સાંજે 7 વાગ્યાથી 8 વાગ્યા સુધી ધર્મ ધ્વજારોહણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નગરદરવાજા ચોક, મોરબી ખાતે ફટાકડા ફોડીને આતશબાજી અને પ્રસાદ દ્વારા મોઢા મીઠા કરીને ઉજવણી કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉજવણીમાં સહભાગી થવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











