મોરબીના સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાની કેપેક્સિલની સિરામિક, રિફ્રેક્ટરીઝ અને એલાઇડ પેનલના ચેરમેન તરીકે બિનહરીફ વરણી થઈ છે. આ નિમણૂકને પગલે તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.
નિલેશભાઈ જેતપરિયા અગાઉ કેપેક્સિલની સિરામિક, રિફ્રેક્ટરીઝ અને એલાઇડ પેનલના વાઇસ ચેરમેન તરીકે કાર્યરત હતા. આ જ પેનલના હવે તેઓ ચેરમેન બન્યા છે. ઉલ્લેખનીય છે કે કેપેક્સિલ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્થાપિત સંસ્થા છે. જે બજાર સંશોધન, પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં ભાગીદારી, નેટવર્કિંગ ઉપરાંત એકસપોર્ટ વધારવા સહિતની પ્રવૃત્તિ કરે છે.
વધુમાં નિલેશભાઈ જેતપરિયા હાલ બોર્ડ ઓફ ટ્રેડ (ભારત સરકાર)ના મેમ્બર તરીકે પણ જવાબદારી નિભાવી રહ્યા છે. આ બોર્ડમાં સમગ્ર દેશમાંથી કુલ 29 મેમ્બર છે. જેઓ વિદેશ વ્યાપાર, પોલીસી અને તેમના પ્રશ્નો, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વગેરે વિષયના સંદર્ભમાં મીનીસ્ટ્રી ઓફ કોમર્સના સલાહકાર તરીકે કાર્ય કરે છે. આ સાથે નિલેશભાઈ ગુજરાત સરકારના હેવી અને થ્રસ્ટ ઇન્ડસ્ટ્રીજ- ઇન્ડસ્ટ્રીઝ કમીશ્નરેટના એડવાઇઝરી મેમ્બર તરીકે પણ સેવા આપી રહ્યા છે.











