તંત્ર જીવતા તો સુવિધા આપતુ નથી મૃત્યુ પછી પણ મોતનો મલાજો જાળવતું નથી
મોરબી : મોરબીના મોટાભાગના ગામડાઓ એ હદે ડેવલપ થયા છે કે ગામોના સ્મશાન ગૃહો મુક્તિ ધામને બદલે રમણીય બાગ જેવા લાગે છે. આથી મોરબીમાં અના કરતા પણ સ્મશાન ગૃહો શ્રેષ્ઠ હોવા જોઈએ એવી પ્રજાની અપેક્ષા હોય છે. પણ નગરપાલિકા હોય હવે મનપા પ્રજાની આ અપેક્ષા પર ઉણું ઉતર્યું છે. શહેરના બે મુખ્ય સ્મશાનમાં પગ મુકવાનું પણ મન ન થાય તે હદે નર્કથી બદતર હાલત છે. જો કે લોકોના જીવતા જીવ તો તંત્ર યોગ્ય સુવિધા આપતું નથી. પણ મૃત્યુ પછી સ્મશાન ગૃહોમાં અંતિમવિધિ માટે યોગ્ય વ્યવસ્થાઓ ન કરીને મોતનો મલાજો પણ જાળવતું નથી. તે મનપા માટે શરમજનક બાબત છે.
મોરબી શહેરના મુખ્ય વિસ્તાર વીસીપરા અંદર આવેલા વર્ષો પુરાણા કૈલાસધામ સ્મશાન ગૃહ અને લીલાપર રોડ ઉપર આવેલા મુક્તિધામ હાલ સંપૂર્ણપણે ખંડેર જેવી સ્થિતિમાં પહોંચી ગયા છે. જીવિત હોય ત્યારે તો તંત્ર મોરબીની પ્રજાને સુવિધા આપવામાં ઘોર બેદરકારી દાખવે છે. પણ મૃત્યુ પછી પણ મૃતદેહોની અંતિમ સંસ્કારની વ્યવસ્થા દુર્દશાપુર્ણ હાલતમાં હોવાની ગંભીર પરિસ્થિતિ સામે આવે છે. આ સ્મશાનમાં મૃયદેહોના અગ્નિદાહ માટેના ખાટલા તુંટી પડ્યા છે. ઠાઠળીઓ અને બેઠકોની સગવડ નથી. બીન ઉપયોગી હાલતમાં શેડ અને દીવાલો તૂટી ગઈ છે. છત પણ તૂટી ગઈ છે. તેમજ શૌચાલય અને બાથરૂમમાં બારણા જ નથી.લીલાપર રોડ આવેલ મુક્તિધામ અંદર સ્થાપિત શંકર ભગવાનની પ્રતિમા ખંડિત હાલતમાં છે. તે એક શરમજનક બાબત છે. ત્યાં આવેલા 10 જેટલા બાથરૂમમાં પાણીની સગવડ નથી. તો દરવાજા અને દીવાલો તેમજ છત તૂટી પડવાની હાલતમાં છે. બેસવા માટે ખુરશીઓ ધૂળધાણી થઈ ગઈ છે. મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે આવતા લોકો માટે પીવાનું પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ જ નથી.આ સ્મશાનની વર્ષોથી ખરાબ હાલત છે. પાંજરાપોળ વિસ્તારોમાં લાખોનું દાન આવતું હોય અને ત્યાં ઓફીસ માટે એસી રૂમ, આધુનિક બિલ્ડીંગ તાત્કાલિક ઉભું કરી દેવામાં આવે છે. પરંતુ અહિયાં અંતિમ સંસ્કાર જેવી માનવ ગૌરવ સાથે જોડાયેલી આ પવિત્ર ભૂમિમાં 30, 40 વર્ષથી એક ઈંટ પણ મુકાઈ નથી. તે તંત્રની નિષ્ક્રિયતા અને જડ વલણનું જીવંત ઉદાહરણ છે. આથી 10 નવેમ્બરે આ બન્ને સ્મશાન ગૃહોનું સંપૂર્ણપણે રીનોવેશન કરી અંતિમ સંસ્કાર માટે માનવ સન્માન જળવાઇ રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવા સામાજિક કાર્યકરો રાજુ દવે, જગદીશ બાંભણીયા, ગિરીશ કોટેચા, દેવેશ રાણેવડીયાએ મનપાના કમિશનર અને કલેકટર તેમજ રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાને રજુઆત કરી હતી. તેમ છતાં નિભર તંત્રની આંખ ન ખુલતા ફરી રજુઆત કરી તંત્રને એક મહિનાનું એલ્ટીમેટમ આપી જો એક મહિનામાં સ્મશાનની હાલત નહિ સુધરે તો સ્મશાનના ગેટ પાસે આંદોલન કરવાની ચીમકી આપી છે.








