મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી મહાપાલિકાના કમિશ્નર સમક્ષ શહેરના વિવિધ વોર્ડના નાગરિકોને સતાવી રહેલા મુખ્ય પ્રશ્નોના તાત્કાલિક નિવારણ માટે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં ખાસ કરીને G.E.B.ની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાના કામને કારણે તૂટેલા રસ્તાઓ, રખડતા પશુઓનો ત્રાસ, અને જાહેર સુવિધાઓની અછત જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું છે.
રજૂઆતનો મુખ્ય મુદ્દો શહેરમાં ચાલી રહેલા G.E.B.ની અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાના કામ સાથે સંકળાયેલો છે. કોન્ટ્રાક્ટર દ્વારા લાઇન નાખ્યા બાદ તૂટેલા રોડનું યોગ્ય રીતે રીપેરિંગ ન કરવાને કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે. તેમાં પણ છ મહિના પહેલાં બનેલા નવા રોડ પણ તોડીને કામ કરવામાં આવ્યું હોવાથી તે રસ્તાઓ ફરી તૂટવા લાગ્યા છે, જેના પર યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. આ ઉપરાંત, વિસીપરા વિસ્તારનો ચાર ગોદામથી અમરેલી રોડ તરફનો મુખ્ય માર્ગ તાત્કાલિક ધોરણે સી.સી. રોડ બનાવવાની અપીલ કરવામાં આવી છે, તેમજ નટરાજ ફાટકથી જૂની પરશુરામ પોસ્ટ ઓફિસ સુધી ડબલ લેન રોડ બનાવવાની પણ માંગ છે. શહેરના તમામ વિસ્તારોમાં સ્પીડબ્રેકરની સાઇઝ યોગ્ય રાખવા અને બિનકાયદેસર સ્પીડબ્રેકર તાત્કાલિક દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
શહેરના મુખ્ય માર્ગો પરના રખડતા પશુઓના ત્રાસ અંગે, રજૂઆતમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકાની ટીમ માત્ર ગાયોને પકડીને સંતોષ માને છે. જોકે, રોડ પર આખલાઓનો ત્રાસ વધુ હોય, સૌપ્રથમ આખલાઓને પકડવાની કાર્યવાહી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મોરબી-2 વિસ્તારમાં સામાકાંઠે એલ.ઇ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડથી ફ્લોરા અક્ષર સીટી ડી-માર્ટ મોલવાળા રસ્તે સ્ટ્રીટ લાઇટના પોલ અને લાઇટ લગાવેલ હોવા છતાં, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેનું કનેક્શન આપીને તાત્કાલિક ધોરણે લાઇટ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. સામાકાંઠે સો-ઓરડી પાછળ આવેલી શક્તિ સોસાયટીના આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર, નર્સ કે આશા વર્કર બહેનોની ગેરહાજરીને કારણે ગરીબ પરિવારોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, જરૂર મુજબના સ્ટાફની તાત્કાલિક ભરતી કરવા પણ રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત મહાનગરપાલિકામાં નવા ભેળવવામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોના પ્રશ્નો અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ અપૂરતી હોવાથી તેને પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં યોગ્ય સર્વે કરીને જ્યારેથી મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યા છે, ત્યારથી જ વેરો લેવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. અંતમાં, સમગ્ર શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે મોરબી શહેરમાં ફિલ્ટર પ્લાન્ટ લગાવીને શુદ્ધ પાણી પૂરું પાડવા અપીલ કરાઈ છે.









