મોરબી મહાનગરપાલિકા દ્વારા નગરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે કરવામાં આવેલા કાર્યને 1 વર્ષ પૂર્ણ થતા આ મહત્વપૂર્ણ અવસરને ઉજવવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે આજે તા. 31-12-2025ના રોજ સાંજે 7 થી 8 વાગ્યા સુધી પટેલ સમાજવાડી, શનાળા ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ શહેરના નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને એકતાની ભાવના વિકસાવવાનો છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ આતશબાજી કાર્યક્રમ સંપૂર્ણપણે આયોજનબદ્ધ રીતે અને સુરક્ષા નિયમોનું પાલન કરીને યોજવામાં આવશે, જેથી તમામ નાગરિકો પોતાના પરિવાર સાથે નિર્ભય અને સુરક્ષિત રીતે આ ભવ્ય દૃશ્યનો આનંદ માણી શકે. આ કાર્યક્રમમાં પ્રવેશ માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવી નથી, શહેરના વિકાસ માટે નાગરિકોએ આપેલા સહયોગ અને વિશ્વાસ બદલ મહાનગરપાલિકા આભાર વ્યક્ત કરે છે, અને તમામ નાગરિકો, સામાજિક સંસ્થાઓ, વેપારી ભાઈઓ-બહેનો તથા યુવાવર્ગને આ નિઃશુલ્ક કાર્યક્રમમાં હાજરી આપવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા ભાવભર્યું હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.











