મોરબી : મોરબીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મણી મંદિરના પટાંગણ એટલે કે શહેરના હૃદય સમાન રાણી બાગ ખાતે મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર ભવ્ય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના નાગરિકોમાં વાંચન પ્રત્યે રુચિ વધે અને જ્ઞાનનો વ્યાપ વિસ્તારાય તેવા શુભ હેતુ સાથે રમત-ગમત શાખા દ્વારા આ આયોજન હાથ ધરાયું છે. આ પુસ્તક મેળો તારીખ 07/02/2026 થી 11/02/2026 સુધી એમ કુલ પાંચ દિવસ સુધી ચાલશે.
આ પુસ્તક મેળો દરરોજ સવારે 10:00 વાગ્યાથી રાત્રિના 09:00 વાગ્યા સુધી વાચકો માટે ખુલ્લો રહેશે. મેળામાં કુલ 19 જેટલા વિવિધ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે, જ્યાં બાળકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને વડીલો એમ દરેક વયના લોકો માટે તેમની પસંદગીના પુસ્તકો ઉપલબ્ધ હશે. આ મેળામાં સાહિત્ય, શિક્ષણ, પ્રેરણાત્મક પુસ્તકો, નવલકથાઓ અને બાળસાહિત્યનો અખૂટ ખજાનો એક જ સ્થળેથી મેળવવાની નાગરિકોને સુવર્ણ તક મળશે.
મોરબી મહાપાલિકાનું આ પગલું શહેરમાં લુપ્ત થતી જતી વાંચન સંસ્કૃતિને પુનઃજીવિત કરવા અને જ્ઞાનના પ્રસારને વેગ આપવા માટે અત્યંત મહત્વનું મનાઈ રહ્યું છે. પાલિકા તંત્ર દ્વારા મોરબીના તમામ નાગરિકોને આ જ્ઞાન ઉત્સવમાં પોતાના પરિવાર અને બાળકો સાથે ઉપસ્થિત રહી સાહિત્યના આ અનોખા સંગમનો આનંદ માણવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









