રાજ્યના નાગરિકોના પડતર પ્રશ્નોના સ્થાનિક સ્તરે અને ટેકનોલોજીના માધ્યમથી ત્વરિત નિકાલ માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત ‘સ્વાગત’ (State Wide Attention on Grievances by Application of Technology) કાર્યક્રમ અંતર્ગત આગામી માર્ચ-૨૦૨૬ માસનો ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ મોરબી ખાતે યોજાનાર છે. જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આ સ્વાગત કાર્યક્રમ તા. ૨૫/૦૩/૨૦૨૬ ને ગુરુવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે, જેમાં અરજદારો પોતાના પ્રશ્નોની સીધી રજૂઆત કરી શકશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા અરજદારોએ માર્ચ માસના કાર્યક્રમ માટે પોતાની અરજીઓ જે-તે વિભાગની જિલ્લા કક્ષાની કચેરીએ મોકલી આપવાની રહેશે. અરજીના મથાળે ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ તેવું સ્પષ્ટ લખવાનું રહેશે તેમજ અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર દર્શાવવા અનિવાર્ય છે.
નોંધનીય છે કે, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરતા પહેલા અરજદારે ગ્રામ કે તાલુકા કક્ષાએ જવાબદાર અધિકારીને અગાઉ લેખિત રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય તેવા જ પ્રશ્નો અહીં ગ્રાહ્ય રાખવામાં આવશે. વધુમાં, નીતિવિષયક પ્રશ્નો, કોર્ટ મેટર હેઠળના કે સબ-જ્યુડિસ પ્રશ્નો, વ્યક્તિગત આક્ષેપો ધરાવતી અરજીઓ, સેવાકીય બાબતો જેવી કે પેન્શન અને પગારના પ્રશ્નો અથવા જે પ્રશ્નો અગાઉ ‘જિલ્લા સ્વાગત’ માં રજૂ થઈ ચૂક્યા હોય તેવી રજૂઆતો સ્વીકારવામાં આવશે નહીં. ૧૦ માર્ચ પછી મળેલી અરજીઓ હવે પછીના માસના કાર્યક્રમમાં ધ્યાને લેવામાં આવશે તેમ મોરબી નિવાસી અધિક કલેક્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.










