મોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા અંતર્ગત આજે આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાઈ હતી. આજના પેપર અંગે સાર્થક વિદ્યામંદિરના વિષય શિક્ષક જયેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલા એનાલિસિસ મુજબ, પેપર અત્યંત સરળ અને ટેક્સબુક આધારિત રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
સેક્શન વાઈઝ પેપરનું વિશ્લેષણ:
- સેક્શન A અને B: આ બંને વિભાગ વિદ્યાર્થીઓ માટે એકદમ સરળ રહ્યા હતા. 100% પ્રશ્નો ટેક્સબુક આધારિત પૂછવામાં આવ્યા હતા.
- સેક્શન C: આ વિભાગમાં માત્ર એક પ્રશ્ન સિવાયના તમામ પ્રશ્નો પાઠ્યપુસ્તક અને છેલ્લા 5 વર્ષના બોર્ડના પેપરોમાંથી જ પૂછાયા હતા.
- સેક્શન D: આ વિભાગમાં માત્ર 2 પ્રશ્નોને બાદ કરતાં બાકીનું પેપર સાવ સહેલું રહ્યું હતું.
- સેક્શન E અને F: મોટા દાખલાઓ ધરાવતા આ વિભાગમાં તમામ દાખલાઓ ટેક્સબુકના સ્વાધ્યાય તેમજ ઉદાહરણમાંથી જ લેવામાં આવ્યા હતા.
નિષ્ણાંતનો મત:
વિષય શિક્ષક જયેશભાઈ મકવાણાના જણાવ્યા અનુસાર, એકંદરે આખું પેપર પાઠ્યપુસ્તક આધારિત કહી શકાય તેવું હતું. પેપરની સરળતા જોતા આ વર્ષે આંકડાશાસ્ત્ર વિષયનું પરિણામ ઘણું સારું આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. પરીક્ષા કેન્દ્રો બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા પર પણ પેપર સારું ગયાનો સંતોષ અને આનંદ સ્પષ્ટપણે જોઈ શકાતો હતો.











