મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે યોજાયેલા PM કિસાન ઉત્સવ અને મિલેટ્સ મેળાના કાર્યક્રમને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સરકારી કાર્યક્રમ હોવા છતાં તેમાં ભાજપના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું અને સ્ટેજ પર સ્થાન અપાયું હતું,જ્યારે કોંગ્રેસના તાલુકા પંચાયતના ૬ સભ્યોને આમંત્રણ ન મળતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.
આ મુદ્દે માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયાએ મામલતદારને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સરકારી કાર્યક્રમમાં રાજકીય ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે અને અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરતા હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. સંદીપભાઈ કાલરીયાએ કડક શબ્દોમાં કહ્યું કે,આ કાર્યક્રમ સરકારી છે કે ભાજપનો? કોંગ્રેસના આગેવાનો અહીં મંજીરા વગાડવા બેઠા નથી કે તમને ગમે તેમને જ આમંત્રણ આપો. તેમણે વધુમાં દાવો કર્યો કે કેટલાક સ્થળોએ સરપંચોને પણ આમંત્રણ આપવામાં આવતું નથી જે યોગ્ય નથી. સાથે જ ચેતવણી આપી કે આગામી સમયમાં સરકારી કાર્યક્રમોમાં કોંગ્રેસના આગેવાનોને આમંત્રણ ન અપાય તો કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવશે.











