મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી ૨૩ માર્ચના રોજ શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ તેમજ દેશ માટે બલિદાન આપનાર અન્ય વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ સોમવારે શહીદ દિને ‘એક શામ અમર જવાનો કે નામ’ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.
આ કાર્યક્રમમાં વિશેષ રૂપે જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં શહીદ થયેલા રમેશજી પટેલના ધર્મપત્નીને ગત ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ પેકેજિંગ એસોસિએશન દ્વારા ૫,૧૧,૦૦૦ રૂપિયાની સન્માન રકમ અર્પણ કરવામાં આવી હતી. આ દેશપ્રેમ અને સેવાકીય કાર્ય બદલ પેકેજિંગ એસોસિએશનનું આ મંચ પરથી વિશેષ સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમ આગામી ૨૩ માર્ચ ૨૦૨૬ ને સોમવારે રાત્રે ૮:૩૦ કલાકે સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિર, દેવ ફાર્મ સામે, એસ.પી. રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યો છે. આ વીરાંજલિ કાર્યક્રમમાં પ્રખ્યાત લેખક અને ‘સિંહપુરુષ’ના સર્જક ડો. શરદભાઈ ઠાકર તેમજ આંતરરાષ્ટ્રીય ક્રાંતિકારી મહિલા વક્તા ડો. આયુષીબેન રાણા વિશેષ ઉપસ્થિત રહીને પોતાનું વક્તવ્ય આપશે. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા મોરબીના તમામ રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમી નાગરિકોને સહપરિવાર આ કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











