મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 26 માર્ચ, ગુરુવારના રોજ શહેરમાં પ્રભુ શ્રી રામની દિવ્ય શોભાયાત્રા નીકળશે, જેને લઈને હાલથી જ શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ શોભાયાત્રા 26 માર્ચના રોજ સાંજે 4:00 વાગ્યે સર્કિટ હાઉસથી પ્રસ્થાન કરશે. શોભાયાત્રામાં 15થી વધુ શાળાઓના આકર્ષક ફ્લોટ્સ, શણગારેલા વાહનો, બગી તેમજ વિવિધ ધાર્મિક ઝાંખીઓ જોડાશે. સાથે સાથે મોટી સંખ્યામાં રામભક્તો ભાગ લેશે. શહેરના 30થી વધુ સ્થળોએ સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. બાળકો શિવ, રામ અને કૃષ્ણ જેવા પૌરાણિક પાત્રોની વેશભૂષામાં સજ્જ થઈને વિશેષ આકર્ષણ ઉભું કરશે. શોભાયાત્રાનો રૂટ સર્કિટ હાઉસથી શરૂ થઈ મહારાણા પ્રતાપ સર્કલ, નવો પુલ, વીસી ફાટક, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, સીતા ચોક, રવાપર રોડ, ચકીયા હનુમાન, શાક માર્કેટ, નેહરૂ ગેટ અને દરબારગઢ સુધી રહેશે.
શોભાયાત્રા દરમિયાન નવા બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે વિશેષ આરતી સાથે ભક્તોનું સ્વાગત કરવામાં આવશે. રાત્રે 12:00 વાગ્યે દરબારગઢ સ્થિત રામ મહેલ મંદિર ખાતે ભવ્ય મહા આરતી સાથે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવશે. હિન્દુ સંગઠનોના આગેવાનોએ મોરબીના તમામ સનાતની હિન્દુ સમાજને આ દિવ્ય મહોત્સવમાં બહોળી સંખ્યામાં જોડાવા અને પરંપરાગત વેશભૂષામાં ભાગ લેવા અપીલ કરી છે. રામ નવમીને પગલે મોરબી શહેરમાં હાલથી જ દિવાળી જેવો ઉત્સવમય માહોલ જોવા મળી રહ્યો છે.











