જિલ્લામાં પેટ્રો-પેદાશોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: ‘પેનિક બાઇંગ’ ન કરવા અને ખોટી માહિતી પર ધ્યાન ન આપવા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીનો અનુરોધ
પેટ્રોલ પંપ પર જથ્થો જળવાઈ રહે તે માટે ઓઇલ કંપનીઓને કરાઈ સૂચના; તંત્ર સાથે સહકાર સાધવા નાગરિકોને વિનંતી
હાલના સમયમાં સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે જે ખોટી માહિતી ફેલાઈ રહી છે, તેનું મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે ખંડન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવી પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને અફવાઓની અસરમાં આવીને બિનજરૂરી ખરીદી એટલે કે ‘પેનિક બાઇંગ’ (Panic Buying) ટાળવી.
રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હાલમાં કોઈપણ પ્રકારની અછત કે શોર્ટેજ નથી. વહીવટી તંત્ર દ્વારા તમામ ઓઇલ કંપનીઓને પેટ્રોલ પંપ પર જથ્થો સતત જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. નાગરિકોને વિનંતી છે કે તેઓ અફવાઓથી દૂર રહીને વહીવટી તંત્રને સાથ-સહકાર આપે અને કોઈપણ પ્રકારની ગભરામણ વગર જરૂરિયાત મુજબ જ ઈંધણ મેળવે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.










