મોરબીના શનાળા રોડ પર આવેલી જીઆઈડીસીમાં કામ દરમિયાન દાઝી ગયેલા એક પરપ્રાંતીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આધેડ શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, મોરબી જીઆઈડીસીમાં આવેલી જીલોટ બોલ્ટ ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના ૫૫ વર્ષીય બાબુરામ બેચુભાઈ વિશ્વકર્મા ડીઝલનું ખાલી લોખંડનું બેરલ વેલ્ડિંગ મશીનથી કાપી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આગ ફાટી નીકળતા બાબુરામ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સાત દિવસ સુધી ચાલેલી સારવાર બાદ ગત સાંજે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.










