મોરબીનો અવાજ ન્યૂઝના સહતંત્રી આમદશા દ્વારા સંવેદનાભર્યો સંદેશ
મોરબી : ઉનાળાની કાળઝાળ ગરમી દિવસેને દિવસે વધી રહી છે. આવા સમયમાં જ્યાં માણસો પણ બપોરના તાપમાં બહાર નીકળતા પહેલા બે વાર વિચારે છે, ત્યાં ખુલ્લા આકાશ નીચે જીવતા અબોલ પશુ-પંખીઓની પરિસ્થિતિ કેટલી કઠિન બનતી હશે તે વિચારવું જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મોરબીનો અવાજ ન્યૂઝના સહતંત્રી આમદશા શાહમદાર દ્વારા શહેરના જાગૃત નાગરિકો, સેવાભાવી સંસ્થાઓ અને યુવાનોને માનવતાભરી અપીલ કરવામાં આવી છે.
મોરબીમાં અનેક સંસ્થાઓ દ્વારા માનવ સેવા માટે ઉત્તમ કામગીરી કરવામાં આવે છે, જે ખરેખર પ્રશંસનીય છે. પરંતુ આ સાથે સાથે અબોલ જીવસૃષ્ટિ પ્રત્યેની આપણી ફરજ પણ એટલી જ મહત્વની છે. હાલની અસહ્ય ગરમીમાં રસ્તાઓ પર રખડતી ગાયો, કુતરાઓ તેમજ અન્ય પશુઓને પીવાનું પાણી પણ સહેલાઈથી મળતું નથી, જેના કારણે તેઓ તરસ્યા રહેતા હોય છે. તે જ રીતે ચકલી સહિતના નાના પક્ષીઓને પણ પાણી અને દાણાની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
મોરબીનો અવાજ ન્યૂઝના સહતંત્રી આમદશા શાહમદાર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના ઘરનાં ધાબા, ગેલેરી, દુકાનના છાપરા અથવા આસપાસની જગ્યાઓમાં પાણીના કુંડા મુકે, ચકલીઓ માટે માળા બાંધે, પક્ષીઓ માટે ચણ-દાણા મૂકે તેમજ ગાયો અને કુતરાઓ માટે પાણીની કુંડીઓ સાથે લીલું ઘાસ કે ખોરાકની વ્યવસ્થા કરે.
નાગરિકોનો નાનો પ્રયત્ન પણ અનેક અબોલ જીવ માટે જીવનદાયી સાબિત થઈ શકે છે. જો દરેક વ્યક્તિ પોતાના વિસ્તારમા એક પાણીનો કુંડો પણ મૂકે તો અનેક પશુ-પંખીઓને તરસમાંથી રાહત મળી શકે છે. માનવ સેવા સાથે અબોલ જીવસૃષ્ટિ પ્રત્યે દયા દર્શાવવી એ જ સાચી માનવતાની ઓળખ છે.
અંતમાં મોરબીનો અવાજ ન્યૂઝના સહતંત્રી આમદશા શાહમદાર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે શહેરના નાગરિકો આ અપીલને સકારાત્મક પ્રતિસાદ આપશે અને ઉનાળાની આ કપરા સમયમાં અબોલ પશુ-પંખીઓ માટે સંવેદનાનું છત્ર બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.











